યાતનાસૂચક શનિ-સૂર્ય યુતિ.. ( ૨ )

               

પ્રસ્તુત લેખમાં આપણે જાતકની જન્મકુંડળીમાં આ શનિ-સૂર્યની યુતિ દરેક  સ્થાનમાં કેવાં ફળ આપે  ? એ વિષે સંક્ષિપ્તમાં જોઈશું..

પ્રથમ ભાવે થતી આ યુતિ.. જાતકના શારીરિક વિકાસમાં બાધક બની આંતરિક શક્તિનો વિકાસ કરે છે.શારીરિક બાબતોમાં.. નબળો બાંધો,આંખની તકલીફ અથવા નાની ઉંમરે ચશ્મા,પિત્તની પ્રક્રુતિ  અને નબળું પાચનતંત્ર સંભવે છે અને તેના કારણૅ શરીરમાં સપ્તધાતુઓનું સમતુલન જળવાતું નથી.

બીજા ભાવે થતી આ યુતિ.. જાતકને કૌટુંબિક વિટંબણાઓમાં સતત વ્યસ્ત રાખીને,ધનાદિક અનુકૂળતા આપીને પણ અજંપાયુક્ત માહોલ આપે છે.આ સ્થિતિમાં ” જાતક સંસાર અસાર છે “..એ વાતને યથાર્થ રીતે સમજતા હોય છે.

ત્રીજા ભાવે થતી આ યુતિ.. જાતકને એક પ્રકારની સુસ્તતાનો અનુભવ કરાવે છે.શક્તિ હોવા છતાં પણ ” આખરે આ બધુ કોના માટે ? “..એવા એક ભાવને જન્માવતી આ યુતિ માણસને વિરક્ત્તાનો અનુભવ કરાવે છે.ખૂબ જ વિકસિત વ્યવસ્થા-શક્તિ હોવા છતાં આ જાતકો એક પ્રકારની આળસ અને બેદરકારીનો અનુભવ કરતા જોવા મળે છે.

ચોથા ભાવમાં થતી આ યુતિ.. જાતકને ભૌતિક સુખની એક પ્રબળ ઝંખના આપીને એને એનાથી વંચિત રાખે છે.આ સ્થિતિમાં જાતક ગમે તેટલું દોડે પણ અંતર કપાયાનો અનુભવ કરી શક્તો ના  હોવાના કારણે વ્યર્થ મથામણ અને હતાશાનો ભોગ બને છે.

પાંચમાં સ્થાને થતી આ યુતિ.. જાતકને શ્રેષ્ઠ પ્રકારની વિદ્યા મેળવવાનો હક્કદાર બનાવે છે.પોતાની ચેતનાનો વિકાસ કરવા માટે સતત પુરુષાર્થ કરતો આ જાતક પોતાને અનુકૂળ આવે એવા વાતાવરણની શોધમાં પોતાનું આયખું વિતાવી નાખતા જોવા મળે છે.આખરે તો હતાશા સિવાય બીજું કશુંજ ન મેળવીને પોતાનામાં જ ઊંડા ઉતરવાનો પ્રયત્ન જ કરતો હોય છે.આવા જાતકોને સંતાનાદિક સુખમાં પણ કેટલાંક વિપરિત પરિણામો અનુભવાય છે.

છઠ્ઠા ભાવમાં થતી સૂર્ય-શનિની યુતિ.. જાતકને પોતાના હરિફો, વિરોધીઓ અને શત્રુઓ ઉપર વિજય આપે છે પણ પોતાના જ અંગત મિત્રો, સગાઓ, સ્નેહીઓ અને આસપાસના લોકોના વ્યવહાર અને વર્તનથી ત્રસ્ત બનાવે છે.આ જાતકો દૂત કાર્યમાં કે મધ્યસ્થી તરીકે કેટલાક શ્રેષ્ઠ પરિણામો મેળવતા હોય છે.

સાતમાં ભાવે થતી આ યુતિ.. જાતકને સાંસારિક જીવનની કેટલીક વિટંબણાઓથી સતત મુંઝવતી હોય છે.તેઓને સામાજિક અને કૌટુંબિક જીવનની અસ્થિરતા તથા મોહ-માયાના બંધનનો એહસાસ કરાવે છે.

આઠમા ભાવમાં થતી આ યુતિ.. જાતકને શારીરિક સમસ્યાઓથી ત્રસ્ત બનાવવા ઉપરાંત કેટલીક વખત આંતરસૂઝનો સૂદર રીતે વિકાસ કરે છે.આઠમે શનિ દીર્ઘાયુષ આપતો હોવા છતાં સતત માંદગીનો અનુભવ થાય છે.

નવમાં ભાવે થતી આ યુતિ.. જાતકનો ભાગ્યોદય વિલંબથી કરે છે પરંતુ જીવનની પાછલી અવસ્થાને વધુ સુખી કરે છે.

દસમા ભાવે થતી આ યુતિ.. જાતકને પિતા સાથે વૈચારિક મતભેદ આપે છે.પોતાના કાર્યક્ષેત્રમાં બીજાની દખલગીરી પસંદ ન કરનારા આ જાતકો પોતાની ધૂનમાં જ  મસ્ત રહેતા જોવા મળે છે.

અગિયારમાં લાભ સ્થાને થતી આ યુતિ.. જાતકને ભૌતિકસુખ-સંપત્તિ આપે છે.કેટલીક વખત વારસાગત બાબતોમાં આવા જાતકો અઢળક ધન મેળવતા જોવા મળે છે.શેર,સટ્ટા, જુગાર અને લોટરી લાભદાયક બને છે.

બારમા ભાવે થતી આ યુતિ.. જાતકને ” સંસાર સત્ય નથી, જન્મ અને મરણ સનાતન સત્ય છે…શરીર સ્થિર નથી…આત્મા કદી મરતો નથી…..” જેવી આધ્યાત્મિક સમજણ આપીને પણ જાતકને સતત ભટકતો રાખે છે.

     આમ સૂર્ય-શનિ ( પિતા-પુત્ર )નો સંબંધ માણસને એક એવી ઊંચાઈ સુધી પહોંચાડવામાં અગત્યનો ભાગ ભજવે છે,જ્યાં પહોંચ્યા પછી મોહ-માયાનાં બંધનો આત્માનું કલ્યાણ કરી શકે એમ નથી …એ વાત યથાર્થ રીતે સમજાય છે…

————————————ઈશ્વરેચ્છા બલીયસિ———————-

 

 

 

 

 

 

                                                                                                                                                                      

       લગ્ન-વિવાહ      પરદેશમાં…ક્યા ગ્રહોને આભારી ?..       

          

આજના ભૌતીકવાદી યુગમાં પરદેશનો મોહ વધુ પડતો થઈ ગયો છે.ગ્રીનકાર્ડ ધરાવનાર વ્યક્તિઓની ઘેલછા લાગી હોય તેવું લાગે છે.પરદેશમાં લગ્ન કરવાની તાલાવેલીને લીધે ભારતના સ્થાનિક સારા પાત્રો મળવા છતાં યુવક-યુવતિ ..પોતે નક્કી કરી શકતા નથી અને પછી જ્યારે પરદેશનું પાત્ર યોગ્ય ના મળે તો આડેધડ લગ્ન કરી લેતા હોય છે.

      પરદેશની ઝાકઝમાળ રોશનીમાં પરદેશમાં લગ્ન કરવાવાળા ઉત્સુક વ્યક્તિઓ અંજાઈ ગયા છે.પરદેશની ભૂમિમાં જવા માટે તલપાપડ થતાં આજના વ્યક્તિઓ લગ્ન કરતાં પરદેશ જવા માટે વધારે મહત્વ આપતા હોય તેવું કહીશું તો ખોટું નથી..

પરદેશમાં સ્થાયી થયેલા વ્યક્તી સાથે લગ્નયોગ હોય તો જ પરદેશમાં લગ્ન અને સ્થાયી થઈ  શકાય છે.પણ ઘણાને પરદેશ યોગ જ ન હોય કે પરદેશમાં લગ્ન થાય તેવા યોગ જ ન હોય તો પરદેશ જઈ શકતા નથી અને જવાનું થાય તો પણ પરદેશમાં સંજોગો વસાત સ્થાયી થઈ શકતા નથી..

ઘણા લોકો પરદેશથી લગ્ન કરવા ભારત આવતા હોય છે પણ લગ્ન કર્યા પછી પોતાના જીવનસાથીને પરદેશ બોલાવતા નથી અને લગ્નજીવનને વિચ્છેદ કરી વિશ્વાસઘાત કરતા હોય છે.ઘણાં વિશ્વાસુ અને જિજ્ઞાસુ માણસો આ રીતે ફસાઈ જતાં હોય છે.

    તો ચાલો.. આજે આપણે  પરદેશમાં રહેતા વ્યક્તિ સાથે લગ્ન ક્યા ગ્રહો હોય તો થાય છે તે જોઈએ…

( ૧ )-પ્રથમ તો જન્મકુંડળીમાં પરદેશ યોગ થવો જરૂરી છે.ચર લગ્નવાળા જાતકોને પરદેશ યોગ મહદ અંશે થતો હોય છે.ચર લગ્નવાળા જાતકો પોતાના વતન કે અન્ય વતનની ભૂમિમાં પણ પોતાનું કર્મસ્થાન બનાવી લાભ રળી લેતા હોય છે.મેષ,કર્ક,તુલા,અને મકર લગ્ન કે રાશિ એ ચર રાશિ ગણાય છે.

( ૨ )-નવમું સ્થાન એ ભાગ્યસ્થાન છે.ભાગ્યકારક ગુરુ અને ભાગ્યસ્થાન પ્રબળ હોય તો પરદેશ યોગ અચુક થાય છે તથા ભાગ્યેશ શુભ ગ્રહોની દ્રષ્ટિમાં કે યુતિ-પ્રતિયુતિમાં હોય તો પરદેશમાં સ્થાયી થવાનાં યોગ બને છે.

( ૩ )-બારમાં સ્થાનમાં અર્થાત વ્યયસ્થાનમાં શુક્ર  કે શુક્ર સાથે ચંદ્ર  કે ભાગ્યેશ.. શુભ ગ્રહની દ્રષ્ટિમાં હોય તો પરદેશ યોગ અચૂક થાય છે.

          હવે આપણે પરદેશમાં લગ્ન કરાવનાર ગ્રહો ક્યા છે તે જાણવા પ્રયત્ન કરીએ..

( ૪ )-સાતમા સ્થાનનો કારક શુક્ર છે.શુક્રનો સંબંધ ભાગ્યેશ,સપ્તમેશ કે વ્યયેશ સાથે થતો હોય તો પરદેશની વ્યક્તિ સાથે લગ્ન સંભવે છે.

( ૫ )-સપ્તમેશ વ્યયસ્થાનમાં કે વ્યયેશ..સાતમાં સ્થાનમાં હોય અને ચર લગ્ન હોય તો પરદેશી વ્યક્તિ સાથે લગ્ન થાય છે.

( ૬ )- શુક્ર સાથે ચંદ્રની યુતિ, ભાગ્યસ્થાનમાં કે ત્રુતિય સ્થાનમાં હોય તો પરદેશી વ્યક્તિ સાથે લગ્ન થાય છે.વ્યયસ્થાનમાં ચંદ્ર પણ દરીયાપારની મુસાફરીનો પ્રબળયોગ કરે છે.

( ૭ )-જન્મલગ્ન ચર રાશિનું હોય અને સપ્તમેશની મહાદશામાં શુક્રની અંતરદશા હોય કે શુક્રની મહાદશામાં સપ્તમેશની અંતરદશા હોય કે શુક્રની દશામાં ભાગ્યેશની અંતરદશા હોય તો પણ પરદેશમાં લગ્ન થાય અને ત્યાં સ્થાયી થવાય છે..

( ૮ )- સાતમાં સ્થાનમાં શુભ ગ્રહો હોય તો પરદેશમાં લગ્ન સૂચવે છે.

( ૯ )- સાતમાં સ્થાનમાં રહેલા ગ્રહો , ચંદ્ર,ગુરુ કે શુક્ર નક્ષત્રનાં હોય તો પરદેશી વ્યક્તિ સાથે લગ્ન સંભવે છે.

          આમ  ઉપરોક્ત ગ્રહો હોય તો જ પરદેશમાં લગ્ન કરવાની અપેક્ષા રાખવી વ્યાજબી છે.

ઘણા લોકો પોતાના બાળકોના લગ્ન પરદેશમાં રહેતા વ્યક્તિ સાથે કરાવે છે પણ જ્યારે ખબર પડે છે કે લગ્ન કરનાર વ્યક્તિ અન્ય સાથે આડા સંબંધમાં છે કે મારઝૂડ કરે છે ત્યારે પરદેશમાં લગ્ન કરનાર બાળકો ઝેરનાં ઘુંટડા પીને રહેતાં હોય છે.ઘણા કિસ્સાઓમાં આપણે સાંભળીએ છીએ કે લગ્ન કરીને ગયા પછી તેઓનો કોઈ જ જવાબ હોતો નથી કે છૂટાછેડા આપી દેતા હોય છે ત્યારે માબાપની સ્થિતિ  આભ ફાટે તેવી થાય છે..

આવી કફોડી સ્થિતિ સર્જનાર ગ્રહો જ છે…

( ૧૦ )- સામાન્ય રીતે સ્થિર લગ્નવાળા ( વ્રુષભ,સિંહ,વ્રુશ્ચિક અને કુંભ લગ્ન ) પરદેશમાં વધુ સમય સ્થાયી થઈ શકતાં નથી.

( ૧૧ )-સપ્તમેશ અશુભ સ્થાનમાં પાપ નક્ષત્રનો કે સ્થિર રાશિમાં હોય તો પરદેશમાં લગ્ન એ લોભામણાં છે.

( ૧૨ )- શુક્ર પાપકર્તરી યોગમાં હોય કે સૂર્ય સાથે અશુભ સ્થાનમાં.. સ્થિર રાશિમાં અને અસ્તનો થતો હોય તો પરદેશમાં લગ્નનો આગ્રહ રાખવો નહીં.આવા યોગવાળાઓએ તો એટલા સુધી ધ્યાન રાખવું જરૂરી છે કે બહુ સ્વછંદી અને છૂટછાટવાળા કુટુંબમાં પણ લગ્ન કરવા નહીં.

( ૧૩ )-જન્મકુંડળીમાં ગુરુ-રાહુનો ચાંડાલ યોગ થતો હોય તો પણ અજાણી ભૂમી અને અજાણી વ્યક્તિ સાથે લગ્ન કરવા ઘાતક સમાન છે..

( ૧૪ )- …અને તેથી જ યુવક કે યુવતિની  જન્મકુંડળીમાં સાતમા સ્થાન ઉપર કે સપ્તમેશ ઉપર કે શુક્ર ઉપર ગુરુની દ્રષ્ટિ.. ટકાઉ લગ્ન-વિવાહ જીવન માટે હિતાવહ અને આશીર્વાદરૂપ રહે છે….

—-                                       ઈશ્વરેચ્છા બલિયસી—————-

    સ્ત્રીકુંડળી અને સંતાનયોગ-( ૨ )

   

મોટી ઉંમરે વિલંબથી સંતાનપ્રાપ્તિ ઃ

જો સ્ત્રીની જન્મકુંડળીમાં…

( ૧ ).લાભ સ્થાને રાહુ સ્થિત હોય તો ૪૫ વર્ષની ઉંમર સુધીમાં પુત્ર સંતતિનું સુખ મળે છે.

( ૨ ).શુક્રની સાથે પંચમેશની યુતિ હોય અને પાંચમેં ગુરુ હોય તો ૩૨ વર્ષની ઉંમરે પુત્ર-સંતાનની પ્રાપ્તિ થાય છે.

( ૩ ).ભાગ્યસ્થાનમાં ગુરુ હોય અને  પાંચમાં સ્થાને શુક્ર લગ્નેશથી યુક્ત હોય તો ૪૦ વર્ષની અવસ્થામાં પુત્ર સંતતિની પ્રાપ્તિ શક્ય બને છે.

( ૪ ).પાંચમાં સ્થાનમાં પાપગ્રહો અને દશમાં સ્થાનમાં શુભ ગ્રહો રહેલા હોય તો સંતાન-પ્રાપ્તિમાં વિલંબ થાય છે.

ગર્ભસ્ત્રાવ કે કસુવાવડ ઃ

( ૧ ).સાતમાં સ્થાનમાં શનિથી દ્રષ્ટ મંગળ રહેલો હોય તો સ્ત્રીને ગર્ભસ્ત્રાવ સંભવે છે.

( ૨ ).આઠમા સ્થાનમાં ગુરુ-શુક્ર અને મંગળ રહેલો હોય તો પણ સ્ત્રીને કસુવાવડ સંભવે છે.

( ૩ ).પાંચમાં સ્થાનમાં રાહુ હોય કે પંચમેશ સાથે રાહુ અગર સંતાનકારક ગુરુ સાથે રાહુ હોય તો પણ સ્ત્રીને કસુવાવડ કે ગર્ભપાત થઈ શકે. છે.

સ્ત્રીની જન્મકુંડળી ઉપરથી સંતાન-પ્રાપ્તિનો સમય ઃ

( ૧ ).લગ્નેશ,પંચમેશ,સપ્તમેશ અને પાંચમાં સ્થાન સ્થિત ગ્રહ કે પાંચમાં સ્થાને દ્રષ્ટિ કરનાર ગ્રહોની દશા-અંતર્દશામાં સંતાનસુખ પ્રાપ્ત થાય છે.

( ૨ ).પંચમેશ કેન્દ્ર સ્થાનમાં હોય તો સ્ત્રીને નાની ઉંમરમાં સંતાનસુખ મળે છે.

( ૩ ).પંચમેશ પણફર સ્થાનમાં અર્થાત બીજે,પાંચમે,આઠમે કે અગિયારમે હોય તો યુવાવસ્થામાં સંતાનસુખ મળે છે.

( ૪ ).ચોથુ સ્થાન શુભ ગ્રહોથી યુક્ત યા દ્રષ્ટ હોય તો વ્રુદ્ધાવસ્થામાં-મોટી ઉંમરે સંતાનપ્રાપ્તિ શક્ય બને. છે.

( ૫ ).સાતમું સ્થાન શુભ ગ્રહોથી યુક્ત કે દ્રષ્ટ હોય તો યૌવનકાળ પુર્ણ થતાં સંતાનપ્રાપ્તિ સંભવે છે.

( ૬ ).સંતાનકારક ગુરુની દશા-અંતર્દશામાં સંતાન-પ્રાપ્તિ શક્ય બને છે.

( ૭ ).જન્મ વખતે શનિ બળવાન થઈને જે રાશિમાં રહેલો હોય તે રાશિમાં જ જ્યારે શનિ પાછો આવે ત્યારે પુત્ર સંતાનપ્રાપ્તિ શક્ય બને છે.

સંતાન અભાવ ઃ 

( ૧ ).પાંચમેં પાપગ્રહ હોય અને પંચમેશ નીચ રાશિમાં શુભ ગ્રહની દ્રષ્ટિ રહિત હોય તો સ્ત્રી સંતાનહીન થાય છે.

( ૨ ).પાચમાં સ્થાનમાં ધન કે મીન રાશિ, ગુરુથી દ્રષ્ટ હોય તો સંતાનનો અભાવ રહે છે.

( ૩ ).પાંચમાં સ્થાને ત્રણ પાપગ્રહો રહેલા હોય કે પાંચમું સ્થાન ત્રણ પાપગ્રહોથી દ્રષ્ટ હોય તો પણ સંતાનસુખનો અભાવ રહે છે.

( ૪ ).શનિ-ગુરુની યુતિ કોઈપણ સ્થાને સંતાનસુખમાં હાનિકર્તા છે.

કાક વંધ્યાયોગ ઃ

      આઠમા સ્થાનમાં ચંદ્ર કે બુધ સ્વગ્રુહી હોય તો સ્ત્રી જીવનમાં એકવાર ગર્ભધારણ કરી પ્રસૂતા બને છે અને એક જ વખત સંતાનનો જન્મ આપે છે પરંતુ ફરીથી આ યોગ વડે સ્ત્રી ગર્ભ ધારણ કરી શકતી નથી જેથી તેવી સ્ત્રી કાક વંધ્યા કહેવાય છે.

વંધ્યા-વાંઝણી સ્ત્રીના યોગ ઃ

( ૧ ). આઠમા સ્થાનમાં સૂર્ય અગર ચંદ્ર સ્વગ્રુહી હોય તો સ્ત્રી ગર્ભ ધારણ કરી શકતી નથી અને વાંઝણી કહેવાય છે.

( ૨ ).સપ્તમેશ પાંચમા સ્થાને અને પંચમેશ સાતમા સ્થાને હોય તો પણ સંતાનનો અભાવ સંભવે છે.

( ૩ ). લગ્ન સ્થાનમાં મંગળ અને આઠમા સ્થાનમાં સૂર્ય હોય તો સ્ત્રી વાંઝણી રહેવાની શક્યતા રહે છે.

( ૪ ).આઠમા સ્થાને સૂર્ય કે શનિ સ્વગ્રુહી હોય તો સ્ત્રી વાંઝણી રહે છે.

( ૫ ).પાંચમાં સ્થાનમાં ત્રણ  પાપગ્રહો હોય તો પણ સ્ત્રી સંતતિ ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવતી નથી.

સંતાનના અભાવે દત્તકપુત્ર લેવાનો યોગ ઃ

સ્ત્રીની જન્મકુંડળીમાં…

( ૧ ).લગ્નેશ અને પંચમેશ છઠ્ઠા,આઠમા કે બારમા સ્થાનમાં શુભ ગ્રહથી દ્રષ્ટ હોય તો દત્તકપુત્ર લેવાની સંભાવના રહે છે.

( ૨ ).પાંચમા સ્થાને શનિ અને ચંદ્રની દ્રષ્ટિ હોય તો દત્તકપુત્ર લેવો પડે છે.

સંતતિ સુપાત્ર થશે કે કુપાત્ર ?

સંતાન થયા પછી સંતાન સાથે માતાના સંબંધો કેવા રહેશે ? સંતતિ આજ્ઞાંકિત થશે કે કુલાંગાર ? સંતાન તરફથી સુખ મળશે કે સંતાન દુઃખનું કારણ બનશે તે જાણવું પણ મહત્વનું છે.

( ૧ ).પંચમેશ લગ્નેશથી દ્રષ્ટ હોય અને લગ્નેશ પણ પંચમેશથી દ્રષ્ટ હોય તો સંતતિ આજ્ઞાકારી થાય છે.

( ૨ ).લગ્નેશ પાંચમાં સ્થાનમાં હોય અને પંચમેશ ભાગ્યસ્થાનમાં હોય તો સંતાન આજ્ઞાંકિત અને ભાગ્યશાળી થાય છે તથા માતા-પિતાની નામના અને યશ વધારે છે.

( ૩ ).બુધ્-ગુરુ અને શુક્ર પાંચમાં સ્થાન સ્થિત શુભ ગ્રહની રાશિ , શુભ ગ્રહથી દ્રષ્ટ હોય તો આજ્ઞાંકિત સંતતિ થાય થાય છે.

( ૪ ).પંચમેશ છઠ્ઠા,આઠમા કે બારમે સ્થાનમાં હોય,પંચમેશ ઉપર મંગળ કે રાહુની દ્રષ્ટિ હોય તો સંતાન તરફથી દુઃખ મળે છે.વિરોધ અને કંકાસ થાય છે.

( ૫ ).શુક્ર-મંગળ-રાહુ જો ચોથા,પાંચમાં,દશમાં,અગિયારમાં કે બારમાં સ્થાનમાં હોય ત્યારે કુપાત્ર સંતતિ જન્મે છે અને માતા-પિતાને કલંક લગાડે છે તેમ જ સંતાપ તથા દુઃખ આપે છે.

સંતાનસુખના ઊપાય ઃ

( ૧ ).જો જાતકને પુત્ર ના હોય અને ફક્ત પુત્રીઓ જ હોય તો,પતિ-પત્ની બંને, સુવર્ણજડિત અંગુઠીમાં ગુરુનો નંગ-પોખરાજ, જમણા હાથની તર્જનીએ ધારણ કરે.

( ૨ ).સંતાન વિલંબ હોય તો,પોતાની ઉંમરથી વધુ સંખ્યામાં જીવીત સંખયામાં માછલીઓ નદીમાં છોડી દે..

( ૩ ).કુતરાની સેવા પ્રભાવશાળી રહે છે.દરરોજ જમતાં પહેલા થોડું ભોજન આવારા કુતરાને ( પાલતું કુતરા નહીં ! ) આપવાથી તથા દેખરેખ રાખવાથી સંતાન સંબંધી સમસ્ત સુખ પ્રાપ્ત થઈ શકે છે.

( ૪ ).નાગદોષ કે પિત્રુદોષ કે સંતાનબાધા હોય તો નર્મદા તીર્થક્ષેત્રે જઈને શાસ્ત્રોક્ત વિધિવત નાગબલિ કે નારાયણબલિની ક્રિયા શ્રદ્ધાપૂર્વક કરાવવી.  સંતાન અવરોધક દોષોનું પ્રાયાશ્ચિત કરવાથી પણ સંતાનસુખ મળે છે.

———————–ઈશ્વરેચ્છા બલિયસી———————-

 

 

       જ્યોતિષી વિદ્યાર્થીઓ માટે પ્રારંભિક જ્ઞાન

                        

જ્યોતિષશાસ્ત્રમાં રસ ધરાવનાર મિત્રો માટે જ્યોતિષી પ્રારંભિક જ્ઞાનની માહિતી તો હશે જ તેમ છતાં આ ‘ જ્યોતિષ મંથન’ પુસ્તકના પ્રથમ પ્રકરણમાં ’ પ્રારંભિક અને મૂળભૂત ‘  જ્યોતિષી જ્ઞાન વિષેની બાબતેથી જ શ્રીગણેશ કરીએ  છીએ જેથી આપ સૌ મિત્રોને તે પછીના લેખ સમજવામાં સરળતા રહે..  

જન્મકુંડળીનાં સ્થાન-ભાવ-ભુવન-ગ્રુહ ઃ

પ્રથમ ભાવ / લગ્ન ભાવ

દેહભુવન,તનુભાવ

દ્વિતીય ભાવ

ધનભાવ, કુટુંબ ભાવ

ત્રુતીય ભાવ

સહજ-બંધુ ,પરાક્રમ ભાવ

ચતુર્થ ભાવ

માત્રુ ભાવ ,સુખ ભાવ

પંચમ ભાવ

વિદ્યા-સંતાનભાવ ,સટ્ટો-લોટરીભાવ

છષ્ઠ ભાવ

રોગ ,શત્રુ,મોસાળ ભાવ

સપ્તમ ભાવ

દાંપ્તયજીવન ભાવ ,ભાગીદાર ભાવ

અષ્ટમ ભાવ

આયુષ્યભાવ,ઘાત

નવમ ભાવ

ભાગ્ય,ધર્મ ભાવ

દશમ ભાવ

પિત્રુભાવ,કર્મ ભાવ

એકાદશ ભાવ

લાભ,મિત્ર ભાવ

દ્વાદશ ભાવ

વ્યય,મોક્ષ,બંધન ભાવ

 

 

સ્થાનભાવ અને તેની સંજ્ઞા ઃ

૧-૪-૭-૧૦

કેન્દ્ર સ્થાન

ચર રાશિ

૨-૫-૮-૧૧

પણફર સ્થાન

સ્થિર રાશિ

૩-૬-૯-૧૨

આપોક્લીમ સ્થાન

દ્વિસ્વભાવ રાશિ

૧-૫-૯

ત્રિકોણ સ્થાન

 

૬-૮-૧૨

દુઃસ્થાન ,ખાડાના ભાવ,ત્રિકુ સ્થાન્

 

૩-૬-૧૦-૧૧

ઉપચય સ્થાન

 

૩-૬-૧૧

ત્રિષડાય

 

ચારક ભાવ

 

રંધ્ર ભાવ

 

રાશિ-તત્વ-વર્ણ ઃ

રાશિ

તત્વ

વર્ણ

૧-૫-૯

અગ્નિ

ક્ષત્રિય

૨-૬-૧૦

પ્રુથ્વી

વૈશ્ય

૩-૭-૧૧

વાયુ

શુદ્ર

૪-૮-૧૨

જળ

બ્રાહ્મણ

પ્રુષ્ઠોદય રાશિઃ ઃ  મેષ,વ્રુષભ,કર્ક,ધન,મકર ને પ્રુષ્ઠોદય રાશિ પણ કહે છે.

શિર્ષોદય રાશિ ઃ મિથુન,સિંહ,કન્યા,તુલા,વ્રુશ્ચિક,કુંભ ને શીર્ષોદય રાશિ પણ કહે છે.

.

 

કારક્ત્વઃ

ભાવ

કારક ગ્રહ

સૂર્ય

ગુરુ

મંગળ

ચંદ્ર,બુધ

ગુરુ

મંગળ, શનિ

શુક્ર

શનિ

સૂર્ય , ગુરુ

૧૦

સૂર્ય,બુધ,ગુરુ.શનિ

૧૧

ગુરુ

૧૨

શનિ

લગ્ન-રાશિ-બાધક સ્થાન ઃ

લગ્ન

રાશિ

બાધક સ્થાન

મેષ,કર્ક,તુલા,મકર

ચર

૧૧મું સ્થાન

વ્રુષભ,સિંહ,વ્રુશ્ચિક,કુંભ

સ્થિર

૯મું સ્થાન

મિથુન,કન્યા,ધન,મીન

દ્વિ સ્વભાવ

૭મું સ્થાન

 બાધક ભાવના અધિપતિ બાધકેશ કહેવાય છે.તે દરેક શુભ કાર્યોમાં બાધક બને છે..

તત્વ-રાશિ-ગ્રહ ઃ

તત્વ

રાશિ

ગ્રહ

અગ્નિ

૧-૫-૯

સૂર્ય,મંગળ

પ્રુથ્વી

૨-૬-૧૦

બુધ

વાયુ

૩-૭-૧૧

ગુરુ,શનિ,બુધ

જળ

૪-૮-૧૨

ચંદ્ર,શુક્ર

જન્મ લગ્ન, વાયુ તત્વ રાશિનું હોય અને તેમાં શનિ,બુધ વાયુ તત્વના ગ્રહો હોય તો જાતકની પ્રક્રુતિ વાયુની કહેવાય.એટલે કે  તે વાયુપ્રધાન વ્યક્તિ કહેવાય.

ગ્રહો ઉચ્ચના,મૂળ ત્રિકોણી,સ્વગ્રુહી ..એમ અનુક્રમે બળ ઓછું થાય… મિત્ર ગ્રહની રાશિમાં રહેલ ગ્રહ મિત્રક્ષેત્રી અને શત્રુ ગ્રહની રાશિમાં રહેલ ગ્રહ શત્રુક્ષેત્રી કહેવાય.

કારકો ભાવ નાશાયઃ

    દરેક ભાવને પોતાના કારક ગ્રહો હોય છે.જે તે ભાવનો કારક પોતાના કારક ભાવમાં હોય, તો તે ભાવ નો નાશ થાય છે.

દ્રષ્ટિઃ

દરેક ગ્રહ પોતાની સાતમી દ્રષ્ટિથી જૂએ છે.તે ઉપરાંત ગુરુ પોતાની પાંચમી,અને નવમી દ્રષ્ટિથી,મંગળ પોતાની ચોથી અને આઠમી એકાતર દ્રષ્ટિથી,શનિ પોતાની ત્રીજી અને દશમી દ્રષ્ટિથી તથા રાહુ ઉલટા ક્રમે ત્રીજી અને દશમી દ્રષ્ટિથી અને કેતુ ઉલટા ક્રમે ચોથી અને આઠમી દ્રષ્ટિથી જૂએ છે.

ગ્રહો ખાડામાં હોય ,ખાડાના માલિક હોય,ખાડાના માલિક સાથે યુતિમાં હોય કે દ્રષ્ટિમાં આવે કે પરિવર્તન પામી સંબંધમાં આવે તો  ભાવ / ગ્રહનું બળ ગુમાવે છે.

કેન્દ્રનો માલિક શુભ ગ્રહ હોય તો પાપગ્રહ બને છે.જો કેન્દ્રનો માલિક અશુભ ગ્રહ હોય તો શુભ ગ્રહ બને છે.ત્રિકોણ ( ૧-૫-૯ ) ભાવના માલિકો શુભ કે અશુભ હોય તો પણ તે શુભ બને છે.        ( ૬-૮-૧૨ ) ખાડાના માલિક ગ્રહો શુભ કે અશુભ હોય,તે અશુભ બને છે.તે જ રીતે ૩-૧૧ ભાવના માલિક અશુભ ગણાય છે અને ૨-૭ ભાવના માલિક મારક ગણાય છે.તે તટસ્થ હોય છે.

ગ્રહો નીચના,શત્રુક્ષેત્રી,અસ્તના ,વક્રી, છેલ્લા ( ૨૯ , ૧ અંશના ),પાપ કર્તરી યોગમાં,મ્રુતાવસ્થામાં.પાપયુક્ત કે પાપદ્રષ્ટ થતાં હોય કે ખાડામાં રહેલા હોય કે ખાડાના માલિક થતા હોય તો તે અશુભ ફળ આપે છે.

સ્થાન( ભાવ ),સ્થાનનો માલિક ( ભાવેશ ) અને તેના કારકનો મેળ બેસાડી થતું ફળકથન સત્યની નજીક આવે છે.

આયુ સ્થાનનો માલિક શનિ, આયુષ્યના આઠમાં ભાવમાં હોય તો આયુષ્યનો નાશ કરવાના બદલે આયુષ્યની વ્રુદ્ધિ કરે છે.ધનભાવનો કારક ગુરુ ધનભાવમાં રહેતાં ધનનો નાશ કરવાને બદલે લક્ષ્મીયોગ કરે છે.ભાગ્યનો કારક ગુરુ ભાગ્યેશ થઈ ભાવથી બારમે એટલે આઠમા-ખાડાના સ્થાનમાં હોય તો પણ ભાગ્ય વ્રુદ્ધિ કરે છે.

   જન્મકુંડળીમાં ચોથે શુક્ર કે ચોથે શુક્ર દ્રષ્ટિ કરે તો વૈભવશાળી બંગલાનું સુખ મળે છે.ચોથે પાપ ગ્રહ,ચોથા ભાવ પર પાપગ્રહની દ્રષ્ટિ અને ચોથાથી આઠમે પાપગ્રહ હોય તો ગમે તેવા વૈભવમાં રાચતાં હોવા છતાં નિરાંત હોતી નથી.ચોથે  બુધ-શુક્રનો સંપત્તિયોગ જાતકને ધનવાન બનાવે છે.ચંદ્ર-મંગંળનો પ્રતિયિગ લક્ષ્મીયોગ થતાં અઢ્ળક સંપત્તિ આપે છે.બારમે માત્ર શુક્ર જ શુભ ફળ આપે છે અને સંપત્તિ પ્રદાન કરે  છે.

બારમે શનિ-રાહુ કે એકલો શનિ કે રાહુ જાતકને બંધનયોગ આપે છે.સૂર્ય-મંગળની યુતિ ( અંગારક યોગ ) જાતકને ઉગ્ર સ્વભાવ અને અક્સ્માત કરાવે છે.દશમે નીચનો-તુલાનો સૂર્ય કે તુલાના સૂર્ય ઉપર પાપ દ્રષ્ટિ જાતકને પાયમાલ કરે છે .દશમે કે ચોથે સૂર્ય જાતકને નાની મોટી સત્તા ,અધિકાર,પદ આપે છે.

ગુરુ-ચંદ્રનો ગજ-કેસરીયોગ વૈભવ,સુખ,સંપત્તિ આપે.બુધ-ગુરુની યુતિ સંપત્તિ આપે અને તેમાંય જો આ યુતિ ધનભાવ,સુખભાવ કે ભાગ્યભાવે વ્રુષભ,તુલા ,મિથુન કે કન્યા રાશિમાં થતી  હોય તો જાતકને વિપુલ ધન સંપત્તિ સંભવે છે.

અષ્ટમેશની આઠમે દ્રષ્ટિ દિર્ઘાયુ આપે.ભાગ્યેશ( નવમેશ ) અને  સપ્તમેશનો પરિવર્તન યોગ જાહેર જીવનમાં ઉચ્ચપદ આપે.ગુરુ-શુક્રનો લગ્નેશ સાથે સંબંધ અઢ્ળક સંપત્તિ આપે છે.લગ્ને ગુરુ અતિ શુભ મનાયો છે.બારમે શનિ શુભ મનાયો નથી.અષ્ટમેશથી આઠમે શનિ કે રાહુ દાંપત્યજીવન રગદોળે છે.છૂટાછેડા જેવા પ્રસંગ સાંપડે.તુલા કે વ્રુષભના મંગળ સાથે શુક્ર-શનિનો સંબંધ લગ્નજીવન છિન્નભિન્ન કરે.છે. ભાગીદાર સાથે ચેતીને ચાલવાનું સૂચવે છે.

શનિ જે ભાવમાં હોય,ત્યાં અનુકુળ બની સ્થાનવ્રુદ્ધિ કરે છે.પરંતુ જે સ્થાન પર દ્રષ્ટિ કરે તે સ્થાન બગાડે છે.આનાથી વિરુદ્ધ ગુરુ માટે છે.ગુરુ જે ભાવમાં હોય,તે સ્થાનને બગાડે છે  અને દ્રષ્ટિ કરે તે ભાવ સુધારે છે.

મંગળને ૬-૮-૧૨ સ્થાનનો દોષ લાગતો નથી.જ્યારે શનિ સિવાય અન્ય ગ્રહો ૬-૮-૧૨મે નિર્બળ બને છે.શનિ અને મંગળ ૨૮ અંશ કે ૧ અંશના બલિષ્ઠ બને.

નિર્બળ શનિ શત્રુ,દેવું , મ્રુત્યુથી રક્ષણ આપે છે .શૂન્ય અંશનો મેષનો / નીચનો શનિ ઉન્નતિ કરે.મંગળ કે ગુરુની એકાતર દ્રષ્ટિમાં રહેલ શનિ ઉન્નતિ કરે. મિથુન કે કન્યા લગ્ન સિવાય શનિ નિર્બળ સારો.બળવાન શનિ તકલીફ આપે !

કોઈપણ મારક ગ્રહ ૬-૮-૧૨મે બળવાન કહેવાય.ઉચ્ચનો ગ્રહ મારક બને નહિં.

ભાવેશ જે રાશિમાં હોય,તે રાશિના સ્વામિ ગ્રહ મુજબ ભાવેશનું ફળ મળે.છે .કોઈપણ ગ્રહ જે રાશિમાં હોય તો તેનામાં, તે રાશિ સ્વામિમાં પડેલા ગ્રહનાં ગુણ આવે…

———————-            ઈશ્વરેચ્છા બલિયસી—————————-

 

 

 

   સ્ત્રીકુંડળી અને સંતાનયોગ – ( ૧ )

     

કુદરતે સંસારમાં સ્ત્રીના હ્રદયને પ્રેમ અને સ્નેહથી સભર બનાવ્યુ છે.પ્રેમ અર્પીને તે ગ્રુહસંસાર રચે છે અને સંસાર રચીને પોતે માત્રુત્વની ઝંખના સેવીને સ્નેહનું તર્પણ કરવા માતા બને છે અને જ્યારે  ખોળામાં બાળક ખેલતું થાય છે ત્યારે સ્ત્રીજીવનનો ફેરો સફળ બને છે.જેને ત્યાં માટીની ખોટ છે,જેની કૂખ ખાલી છે એની  સંતાનની ઝંખના તીવ્ર બને છે અને સંતાન ઝંખનાની પરિત્રુપ્તિ માટે બાધા,દોરા-ધાગા,અને દેવ-દેવીઓની માન્યતા રાખે છે.પથ્થર એટલા દેવ કરે છે પણ પ્રારબ્ધમાં પગલીનો પાડનાર,વંશનો રાખનાર ન લખાયેલો હોય તો લાખ ઉપાયે પણ મળતો નથી અને વાંઝિયા મહેણાં દોહ્યલાં લાગે છે.પાણી વગર માછલીની જે સ્થિતિ હોય છે તેવી સ્થિતિ સંતાન વગરની સ્ત્રીની હોય છે !

   વિવાહ ઉપરાંત નવદંપતિની પ્રથમ મનોકામના સંતતિ પ્રાપ્તિની હોય છે કારણકે પુત્ર-સંતાન વંશવ્રુદ્ધિમાં સહાયક હોય છે.આજના યુગમાં પુત્રની પ્રાપ્તિ બહુ મોટી ઉપલબ્ધિ છે, જે વિરલ માતા-પિતાને જ સંતાનસુખ મળે છે.કળિયુગમાં શ્રવણ જેવી સંતાન મળવી એતો ખરેખર એક પ્રભુની દયા જ છે.જે જાતકના પૂર્વ-સંચિત કર્મો અને પૂણ્યને આધીન છે અને તે ઊત્તમ ભાગ્યથી જ મળે છે.

     સંતાનસુખ મળશે કે નહીં ? પ્રથમ સંતાન પુત્ર કે પુત્રી ? સંતાન યોગ્ય હશે કે અયોગ્ય ? સંતાન ઉન્ન્તિ કરશે કે અવનતિ ? માતા-પિતાનું નામ રોશન કરશે કે નહિં? સંતાન સુશિક્ષીત હશે કે અશિક્ષીત …વગેરે વગેરે ..આ સર્વે સંતાન સંબંધી જેટલા પ્રશ્નો છે તે બધાનો ઉત્તર જ્યોતિષશાસ્ત્ર કઈ રીતે સરળતાથી આપી શકે છે તે અત્રે જોઈએ !

   સંતાનપ્રાપ્તિ અંગે જ્યોતિષશાસ્ત્રમાં પાંચમાં સ્થાનથી વિચાર કરવામાં આવે છે. સ્ત્રી જાતકની કુંડળીમાં પાંચમાં સ્થાનથી સંતતિ,માસિકધર્મ,પ્રેમ-પ્રણય,વાસના.ઈચ્છાશક્તિ,ગર્ભ-ગર્ભસ્ત્રાવ અંગે જાણકારી મળે છે.સંતાનસુખ અંગે પાંચમું સ્થાન,પંચમેશ,પાંચમાં સંતતિ સ્થાનનો કારક ગુરુ તથા ચંદ્રથી પાંચમું સ્થાન,પંચમેશ,અને કુદરતી ભચક્રની પાંચમી સિંહ રાશિના બળાબળનો અભ્યાસ હિતાવહ છે.

સંતાન સુખનાં યોગો ઃ

( ૧ ). જન્મકુંડળીમાં પાંચમું સ્થાન,પાંચમાં સ્થાનનો સ્વામિ, અને પાંચમાં સંતતિ સ્થાનનો કારક ગુરુ ..આ ત્રણેય જો બળવાન હોય તો અચુક સંતાન સુખ મળે છે.સામાન્ય રીતે પાંચમાં સ્થાનમાં શુભ ગ્રહ રહેલો હોય કે પાંચમું સ્થાન શુભ ગ્રહથી દ્રષ્ટ હોય,પંચમેશ અને ગુરુ અશુભ સ્થાન સિવાય શુભ સંબંધિત હોય તો સ્ત્રી ગર્ભ ધારણ કરી સંતતિ પરત્વેનું સુખ પ્રાપ્ત કરે છે.

( ૨ ). લગ્નેશ પાંચમાં સ્થાનમાં શુભ દ્રષ્ટ હોય તો સંતાનની પ્રાપ્તિ થાય છે.

( ૩ ). કેન્દ્ર-ત્રિકોણસ્થાનનાં સ્વામી પાંચમાં સ્થાનમાં હોય અને પંચમેશ છઠ્ઠા,આઠમા કે બારમા સ્થાનમાં ન હોય તો સંતાનપ્રાપ્તિ શક્ય બને છે.

( ૪ ). લગ્નેશ-ભાગ્યેશ સાતમાં સ્થાનમાં હોય તો અવશ્ય સંતાનસુખ મળે છે.

( ૫ ).બીજા સ્થાનનો સ્વામિ લગ્ન સ્થાનમાં હોય તો સંતાન-પ્રાપ્તિ શક્ય બને છે.

( ૬ ).સંતાનકારક ગુરુ ઉપર લગ્નેશની દ્રષ્ટિ હોય તો સંતાન-પ્રાપ્તિ શક્ય બને છે.

( ૭ ).પંચમેશ ઊચ્ચનો હોય અને ગુરુ કેન્દ્ર કે ત્રિકોણસ્થાનમાં હોય તો પણ સંતાનસુખ સંભવે.

( ૮ ).લગ્નેશ-પંચમેશ વચ્ચે સ્થાન પરિવર્તન થયેલ હોય તો સંતતિ-સુખ મળે છે.

( ૯ ). લગ્ન, બીજું, પાંચમું,અને અગિયારમું સ્થાન જો શુભ ગ્રહથી યુક્ત યા દ્રષ્ટ હોય કે તેના સ્વામિઓ કેન્દ્ર-ત્રિકોણ સ્થાનમાં સ્વગ્રુહી કે ઊચ્ચના હોય તો સંતતિ સુખ મળે છે.

( ૧૦ ).મેષ,વ્રુષભ કે કર્કનો રાહુ અગર કેતુ પાંચમાં સ્થાનમાં હોય તો સંતાનપ્રાપ્તિ શક્ય બને છે.

પ્રથમ સંતાન પુત્ર કે પુત્રી ?..

પ્રથમ સંતાન પુત્ર..જો સ્ત્રી કુંડળીમાં…

( ૧ )..પુરુષગ્રહ બળવાન થઈને પાંચમાં સ્થાનમાં સ્થિત હોય તો પ્રથમ સંતાન પુત્ર સંભવે.

( ૨ )..પંચમેશ પુરુષ ગ્રહ હોય અને તે મેષ,મિથુન,સિંહ,તુલા,ધન કે કુંભ જેવી પુરુષ રાશિમાં હોય તો પહેલા પુત્ર થાય છે.

( ૩ )..લગ્નેશ, લગ્ન સ્થાનમાં સ્વગ્રુહી હોય કે ત્રીજા સ્થાનમાં સ્થિત હોય તો પ્રથમ સ્થાન પુત્ર સંભવે.

( ૪ )..ચંદ્ર,મંગળ અને શુક્ર દ્વિસ્વભાવ રાશિમાં ( મિથુન,કન્યા,ધન, મીન ) સ્થિત હોય તો પ્રથમ સંતાન પુત્ર સંભવે.

( ૫ )..પંચમેશ બુધ અગર શનિ હોય અને એકી રાશિમાં સ્થિત હોય તો પુત્ર સંતાન સંભવે.

( ૬ )..પંચમેશ પુરુષ ગ્રહ ( સૂર્ય,મંગળ,ગુરુ.) થઈને લગ્નેશને જુએ તો પ્રથમ સંતાન પુત્ર હોઈ શકે છે.

( ૭ )..પાંચમાં કે સાતમા સ્થાનમાં સૂર્ય-શનિની યુતિ હોય તો પ્રથમ સંતાન.. પુત્ર અને તે પછી બીજું સંતાન કન્યા થાય છે.

પ્રથમ સંતાન પુત્રી..જો સ્ત્રી કુંડળીમાં…..

( ૧ )..લગ્નેશ પાંચમાં,સાતમા,નવમા કે અગિયારમા સ્થાનમાં હોય તો પ્રથમ સંતાન કન્યા સંભવે છે.

( ૨ )..પંચમેશ સાતમા સ્થાનમાં કે સપ્તમેશ પાંચમાં સ્થાનમાં હોય તો પ્રથમ કન્યા સંતાન થઈ શકે છે.

( ૩ )..પંચમેશ સ્ત્રી ગ્રહ થઈને સ્ત્રી રાશિમાં ( બેકી રાશિમાં ) હોય તો પ્રથમ કન્યા સંતાન સંભવે છે.

( ૪ )..પાંચમાં સ્થાનમાં કર્ક, વ્રુશ્ચિક કે મીન રાશિ હોય તો પ્રથમ કન્યા સંતતિ સંભવે.

( ૫ )..લગ્નેશ ચોથા સથાનમાં હોય તો પણ પ્રથમ કન્યા સંતાન થાય છે.

( ૬ )..પાંચમાં સ્થાનમાં ચંદ્ર-શુક્રની યુતિ હોય અને લાભ સ્થાનમાં પાપગ્રહ હોય તો પ્રથમ કન્યા સંતાન સંભવે છે.

સંતાન સંખ્યાઃ

જો સ્ત્રી જન્મકુંડળીમાં………

( ૧ )..પાંચમાં સ્થાનમાં રાહુ યા કેતુ હોય તો એક પુત્ર સંભવે છે.

( ૨ )..પાંચમાં સ્થાનમાં સૂર્ય.. શુભ ગ્રહોથી દ્રષ્ટ હોય તો ત્રણ પુત્રો થાય છે.

( ૩ )..વ્રુષભ કે તુલા રાશિનો ચંદ્ર પાંચમાં કે નવમાં સ્થાનમાં હોય તો એક પુત્ર થાય છે.

( ૪ )..પાંચમાં સ્થાનમાં જેટલા ગ્રહ સ્થિત હોય અને પાંચમે જેટલા ગ્રહની દ્રષ્ટિ હોય તેટલી સંખ્યા સંતાનોની સંભવે..તેમાં પુરુષગ્રહના યોગથી પુત્ર સંતતિ અને સ્ત્રી-ગ્રહના યોગથી સ્ત્રી-સંતતિ ગણવી.

( ૫ )..પાંચમાં સ્થાનમાં શનિ પોતાની કુંભ રાશિમાં હોય તો પાંચ પુત્રો થવાની શક્યતા રહે છે.

( ૬ ).. મકર યા કુંભ રાશિ પાંચમાં સ્થાનમાં હોય તો એક પુત્રનું સુખ મળે.

( ૭ )..ત્રીજા સ્થાનમાં બુધ રહેલો હોય તો ૨ પુત્ર અને ૩ પુત્રીઓનું સુખ મળે.

( ૮ )..ચંદ્ર સાથે કેતુ પાંચમાં સ્થાનમાં હોય તો માત્ર એક જ સંતાન થાય છે.

( ૯ )..બુધ અને શનિ પાંચમાં સ્થાનમાં હોય તો માત્ર એક જ સંતાન સંભવે.

( ૧૦ )..સાતમા સ્થાનમાં શુક્ર હોય તો સંતતિમાં પુત્ર-સંતાનની સંખ્યા વધારે હોય છે.

( ૧૧ ).. લાભ સ્થાનમાં બુધ-શુક્ર અને ચંદ્ર પૈકી ગમે તે એક ગ્રહ સ્થિત હોય તો પણ કન્યા સંતતિનું પ્રમાણ વધુ રહે છે.

( ૧૨ )..પાંચમાં સ્થાનમાં સૂર્ય બળવાન હોય તો એક પુત્ર, ચંદ્ર બળવાન હોય તો ૨ પુત્રી, મંગળ બળવાન હોય તો ૩ પુત્ર સંભવે.

જોડકાં બાળક ઃ

જો સ્ત્રી-જન્મકુંડળીમાં….

( ૧ )..પાંચમાં સ્થાનમાં મિથુન - કન્યા કે મીન રાશિનો ચંદ્ર હોય અને શુભ ગ્રહથી દ્રષ્ટ હોય તો જોડકાં બાળક થવાનો યોગ સંભવે.

( ૨ )..જન્મ લગ્ન અને ‘ ચંદ્ર લગ્ન ‘.. બેકી રાશિમાં હોય અને તેના ઉપર પુરુષ ગ્રહની દ્રષ્ટિ હોય તો પણ જોડકાં બાળક અવતરે..

   તો મિત્રો…. સ્ત્રીની જન્મકુંડળીના માધ્યમથી મોટી ઉંમરે વિલંબથી સંતાન પ્રાપ્તિ,કસુવાવડ,સંતાન પ્રાપ્તિનો સમય,સંતાનનો અભાવ,મ્રુતસંતાન જન્મયોગ,સંતાનહાનિ,કાક વંધ્યાયોગ,દત્તકપુત્ર યોગ,સંતતિ સુપાત્ર થશે કે કુપાત્ર ?.સંતાનબાધાનાં કારણો અને તેની શાન્તિના ઉપાયો.. વગેરેની ચર્ચા હવે પછીના (ભાગ- ૨ ) માં જોઈશું..

                                                                                                                                                             (  ક્રમશઃ )

——————————————– —–ઈશ્વરેચ્છા બલિયસી———————————————-

 

 

             કાલસર્પયોગ હંમેશા ભયજનક નથી

        

                                                                                     

 ” કાલસર્પયોગ શું છે ? અને જાતકો તેનાથી શા માટે ભય અનુભવે છે ? આપણાં વાસ્તવિક જીવનમાં એ શું ભાગ ભજવે છે ? ” વગેરે વગેરે.. જેવી બાબતો વિષે વાંચકોમાં સાચી સમજ અને જાણકારી કેળવાય તથા નાહકની મૂંઝવણ - નિરાશા -ભય દૂર થાય તે અર્થે આજનો  પ્રસ્તુત લેખ  વિશેષ સ્વરૂપે  પ્રગટ કરવાનો  મારો નમ્ર પ્રયત્ન છે.આશા છે તે સહુ વાચક મિત્રોને મદદરૂપ નિવડે.

” કાળસર્પયોગ ખરો છે અને તેની ભયપ્રદ અસર એટલી બધી વ્યાપક બનેલી છે કે તે કાઢવા માટે પણ કોઈને સદબુધ્ધિ સૂઝતી નથી એ કેટલું દેશનું કમનસીબ છે ? ! કેટલાંક જ્યોતિષીઓ પણ આ યોગને વધુ પડતું મહત્વ આપીને ફળાદેશ કરતી વખતે એના તથા કથિત ભયંકર પરિણામોની આગાહી કરીને, શાસ્ત્રને ન જાણનાર અને ( અંધ ) વિશ્વાસ રાખનાર ઘરાકના અજ્ઞાનનો લાભ લઈ તેમની પાસેથી ખૂબ ધનનો પડાવે છે અને ખર્ચો કરાવે છે !” તો આ શું યોગ્ય છે ?…

 તો ચાલો.. આ કાળસર્પ યોગ શું છે તે અત્રે જોઈએ..

રાહુ અને કેતુ વચ્ચે બધાં ગ્રહો આવી જાય અથવા કેતુ અને રાહુ વચ્ચે બધાં ગ્રહો આવી જાય તો કાળસર્પ યોગ થયો કહેવાય. આ યોગ વિશે વિભિન્ન મત પ્રવર્તે છે.કોઈનું માનવું એમ હોય છે કે, જો રાહુ અથવા કેતુ સાથે કોઈપણ ગ્રહ અથવા ગ્રહો હોય તો કાળસર્પ યોગ થયો કહેવાય, તો કોઈ આ પ્રમાણે  માનતા નથી. પરંતુ બહુમત માન્યતા પ્રમાણે જો રાહુ અથવા કેતુ સાથે કોઈપણ ગ્રહ અથવા ગ્રહો યુતિમાં હોય કે પછી કેતુ અને રાહુ વચ્ચે બધાં ગ્રહો આવી જતાં હોય તો પણ કાળસર્પ યોગ થયો ગણાય જ. અત્રે , કાળસર્પ યોગ જોતી વખતે હર્ષલ,પ્લુટો કે નેપ્ચ્યૂન ગણતરીમાં લેવાતા નથી તે અવશ્ય નોંધવું રહે.રાહુ-કેતુ હંમેશા અન્ય ગ્રહોથી ઉલ્ટા ચાલે છે.સૂર્યાદિ ગ્રહો પૂર્વ થી પશ્ચિમ ગતિ કરે છે જ્યારે રાહુ-કેતુ હંમેશા વક્ર ગતિએ અન્ય ગ્રહોથી ઉટી ગતિ અર્થાત પશ્ચિમથી પૂર્વ ગતિ કરે છે !

મૂળભૂત ગુણધર્મો ઃ

કાળસર્પ યોગવાળી વ્યક્તિનાં જીવનમાં મૂળભૂત ગુણધર્મો નીચે પ્રમાણે જોવા મળે છે.

( ૧ ) સામાન્યતઃ કાળસર્પ યોગવાળા જાતક સંઘર્ષ કરીને સ્વપ્રયત્ને આગળ આવે છે.ક્યારેક આ યોગને સંઘર્ષયોગ પણ કહે છે.

( ૨ ) જન્મકુંડળીમાં કાળસર્પ હોય અને ધનનાશના યોગ ન થતા હોય તો ધનનાશ થતો નથી.

( ૩ ) કુંડળીમાં કાળસર્પ યોગ હોય પરંતુ માન-પ્રતિષ્ઠા નાશ કરે તેવાં યોગો ન થતાં હોય તો માન-પ્રતિષ્ઠાને આંચ આવતી નથી.

( ૪ )  કુંડળીમાં કાળસર્પ યોગ હોય પરંતુ પૂર્વ જન્મનાં પૂણ્યના હિસાબે જન્મકુંડળીમાં કેન્દ્રમાં સ્વગ્રુહી ગુરુ કે ઉચ્ચનો ગુરુ અથવા કેન્દ્રમાં સ્વગ્રુહી શુક્ર કે ચંદ્ર સ્વગ્રુહી કે ઉચ્ચનો હોય તો કાળસર્પ યોગ જાતકને વધારેમાં વધારે ( Maximum ) ભૌતિક ધનસંપત્તિ આપે છે.

( ૫ ) કાલસર્પ યોગવાળા જાતકો સંઘર્ષ બાદ , સ્વપ્રયત્ને સફળતાનાં શિખરો સર કરી ટોચ પર આવે છે તેમ જ પ્રતિષ્ઠા પણ મેળવે છે.પોતાના ક્ષેત્રમાં આવી વ્યક્તિઓ સંઘર્ષ બાદ અમર્યાદિત ધન મેળવતી થઈ જાય છે. દા.ત.  સ્વ.વડા પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ ,  સ્વ.રાષ્ટ્રપતિ ડો.રાધાક્રુષ્ણન,શ્રી મોરારીબાપુ,સંગીત સામ્રાજ્ઞી નૂરજહાં, મિલ ઉદ્યોગપતિ રણછોડલાલ,સ્વ.ધીરુભાઈ અંબાણી, ફિલ્મ ઉદ્યોગ ક્ષેત્રે સ્વ. વી શાંતારામ,અબ્રાહમ લિંકન,અશોકકુમાર,દિલીપકુમાર તથા લતા મંગેશકર,ઈટાલી સરમુખત્યાર સ્વ.મુસોલીની ,ઉદ્યોગપતિ રાજા બળદેવદાસ બિરલાજી, તથા ‘બીગબુલ ‘ હર્ષદ મહેતા વિ. નો પણ સમાવેશ કરી શકાય.

              હકિકતમાં કાલ અને સર્પ એ બે સ્વતંત્ર દેવતાઓ છે .તેમ છતાં કાલસર્પ એ એક દેવતા માનવો યોગ્ય નથી. આમ જોવા જાવ તો કુલ ૧૨ પ્રકારનાં કાલસર્પ યોગ છે.તેમાંથી ૮ પ્રકારના યોગો શુભ ફળ આપનારા છે. છતાં પણ બધાં જ પ્રકારોને અશુભ માનવા એ ભૂલભરેલું છે.

કાળસર્પયોગના પ્રકાર ઃ

મુખ્યત્વે કાળસર્પયોગના બે પ્રકાર થાય છે.

( ૧ ) અર્ધ-કાળસર્પયોગ અથવા ખંડિત કાળસર્પયોગ ઃ -જ્યારે સૂર્યાદિ ગ્રહો,રાહુ અને કેતુ વચ્ચે એવી રીતે આવેલ હોય કે જેથી એક યા વધુ ભાવ ખાલી રહેતો હોય ..ત્યારે આ યોગ બને છે.

( ૨ ) પૂર્ણ-કાળસર્પયોગ ઃ રાહુ અને કેતુની એક જ બાજૂએ આવેલ તમામ ભાવોમાં તમામ ગ્રહો આવી ગયેલા હોય ત્યારે આ યોગ બને છે.

             આ ઉપરાંત બીજી બે રીતે પણ કાળસર્પયોગને વર્ણવાય છે.

( ૧ ) દ્રશ્ય ગોળાર્ધનો કાળસર્પયોગ ઃ આમાં રાહુ, લગ્ન યા પહેલા ભાવે અને કેતુ સાતમા ભાવે હોય છે અને રાહુનું ભ્રમણ લગ્ન ભાવથી ૧૨મો ભાવ. ૧૧મો ભાવ.. આ પ્રમાણે સાતમાં ભાવ સુધી થતું હોય છે.(  સાતમા ભાવથી બારમા ભાવને દ્રશ્ય ગોળાર્ધ કહે છે )

( ૨ ) અદ્રશ્ય ગોળાર્ધનો કાળસર્પયોગ ઃ આમાં રાહુ સાતમા ભાવે અને કેતુ લગ્ન ભાવે હોય અને રાહુ ૬ઠ્ઠા ભાવે, ૫માં ભાવે..એ પ્રમાણે લગ્ન ભાવ સુધી ગતિ કરતો હોય છે.( પહેલા ભાવથી સાતમા ભાવને અદ્રશ્ય ગોળાર્ધ કહે છે )

           હકિકતમાં દ્રશ્ય અને અદ્રશ્ય ગોળાર્ધના કાળસર્પયોગના ફળમાં બહુ જ ફરક જણાય છે.

કાળસર્પયોગનું સામાન્ય ફળાદેશ ઃ

 જાતકની જન્મકુંડળીમાં પૂર્ણ અને અદ્રશ્ય ગોળાર્ધમાં થતો આ યોગ ..

( ૧ ) જાતક માટે અને તેના પરિવાર માટે મુશ્કેલીઓ , યાતના લાવે છે.

( ૨ ) અવાર-નવાર ભાગ્યમાં અવરોધ આવે છે.

( ૩ ) રાહુ અને કેતુ જો બળવાન હોય તો આ યોગ જાતકને વધુ હાનિ કરે છે.

( ૪ ) પૂર્વજન્મના સર્વદોષ ને કારણે સંતાનો ન થવા  યા સંતાનો ઉપર આપત્તિ આવે છે.

( ૫ ) વિશ્વાસઘાત,ઠગાઈ વગેરેનો ભોગ બનાય છે.

( ૬ ) ધન વેડફાઈ જાય છે.

( ૭ ) ૨જા અને ૭મા ભાવ સંબંધી આ યોગ આયુષ્યને હાનિ પહોંચાડે છે.

( B ) દ્રશ્ય ગોળાર્ધમાં થતા કાળસર્પયોગમાં અચાનક ધનલાભ, સારી નોકરી-ધંધો,અધિકાર,લાભ સાંપડે છે.આધ્યાત્મિક ક્ષેત્રે જાતક ગુરુ-સત્સંગી બને છે.ધર્મલાભ થાય છે.

          આમ દ્રશ્ય ગોળાર્ધમાં અદ્રશ્ય ગોળાર્ધથી ઉલટું ફળ મળે છે..

બારેય ભાવ સંબંધી સામાન્ય ફળાદેશ ઃ

( ૧ ) પ્રથમ અને સપ્તમ ભાવમાં રાહુ અને કેતુ અનુક્રમે હોય અને બાકીના ગ્રહો વચ્ચે આવી ગયા હોય તો ‘ અનંત  કાળસર્પયોગ ‘ બને છે.આ યોગ જાતકને માનસિક અશાંતિ,અસ્થિરતા,દુષ્ટ બુદ્ધિ,કપટી,લુચ્ચો,ખોટા બોલો બનાવે છે અને કોર્ટ-કચેરી, ભાગીદારીનાં ક્ષેત્રે નુકશાન તથા તેના લગ્ન જીવનમાં અશાંતિ ઊભી કરે છે.

( ૨ ) બીજા અને આઠમા ભાવમાં ‘ કુલિક કાળસર્પયોગ બને છે.તે કૌટુંબિક અશાંતિ-કલહ, આવક કરતાં વધુ ખર્ચ,કટુવાણી વગેરે યોગ કરે છે.આવા જાતકોની વાણીમાં વિશ્વાસ ના મૂકાય કારણકે બીજુ સ્થાન વાણીનું છે.

( ૩ ) ત્રીજા અને નવમાં સ્થાનમાં ‘ વાસુકિ કાળસર્પયોગ ‘ બને છે.તે ભાઈ-ભાંડુનું સુખ ઘટાડે છે.ભાગ્યમાં હાનિ,વિદેશ પ્રવાસમાં તકલીફો, લખાણો,દસ્તાવેજી લખાણોમાં તકલીફો કે ધર્મ પ્રત્યે નાસ્તિકતાવાળો બનાવે છે.

( ૪ ) ચોથા અને દસમાં સ્થાનમાં ‘ શંખપાલ કાળસર્પયોગ ‘ બને છે.આનાથી માતાને કષ્ટ,સ્થાવર-જંગંમ મિલ્કતના પ્રશ્નો, ઉપાધિ,ધંધામાં નુકશાન-ખોટ કે પિતાનું સુખ ઓછું કરે છે.

( ૫ ) પાંચમાં અને અગિયારમાં ભાવમાં ‘ પદમ કાળસર્પયોગ ‘ બને છે.આનાથી સંતાનોના પ્રશ્નો,કસુવાવડ,સટ્ટા-લોટરીમાં નુકશાન, મિત્રોથી વિશ્વાસઘાત કે હાથમાં ઈજા વગેરે થાય છે.

( ૬ ) છઠ્ઠા અને બારમાં ભાવમાં ‘ મહાપદમ કાળસર્પયોગ ‘ બને છે.આનાથી શંકાસ્પદ ચારિત્ર્ય, શત્રુઓ ને હરિફો ઉપર વિજય,રોગ ઉપર વિજય કે પ્રેમમાં નિષ્ફળતા આવે છે.

( ૭ ) સાતમા અને પ્રથમ ભાવમાં અનુક્રમે રાહુ અને કેતુ હોય અને બાકીના ગ્રહો વચ્ચે આવી ગયા હોય તો ‘ તક્ષક કાળસર્પયોગ ‘ બને છે.આનાથી ભાગીદારીમાં, લગ્નજીવનમાં નુકશાન,ગુપ્તરોગ,કે  આપઘાતકરવાનું વલણ ઊભું કરે છે.

( ૮ ) આઠમા અને બીજા ભાવમાં ‘ કર્કોટક કાળસર્પયોગ ‘ બને છે.આનાથી લાંબી બિમારી,એક્સીડન્ટ,ઓપરેશન,અકાળ મ્રુત્યુ,ઝેરથી મ્રુત્યુ  કે  ગુપ્ત રોગોની શક્યતા ઊભી કરે છે.

( ૯ ) નવમાં અને ત્રીજા ભાવમાં ‘ શંખચુડ કાળસર્પયોગ ‘ ઊભો થાય છે. જેથી ભાગ્યમાં હાનિ,સરકારી મુસીબતો,પિતાનુ ઓછું સુખ,કે નાની મુસાફરીમાં તકલીફો થાય છે.

( ૧૦ ) દસમાં અને ચોથા ભાવમાં ‘ ઘાતક કાળસર્પયોગ ‘ બને છે.નોકરી -ધંધામાં ઓચિંતી મુશ્કેલી કે પિતા-માતાથી વિરહ વગેરે..મુશ્કેલીઓ સર્જાય છે.

( ૧૧ ) અગીયારમાં અને પાંચમાં ભવનમાં ‘ વિષઘર કાળસર્પયોગ ‘ છે.આનાથી કાનમાં પીડા, હ્રદયનાશ કે જન્મભૂમિથી દૂર રહેવાનો યોગ બને છે અને મોટાભાઈ સાથે વિરોધ-વિવાદ ઊભો થાય  છે.

( ૧૨ ) બારમાં અને છઠ્ઠા ભાવમાં ‘ શેષનાગ કાળસર્પયોગ બને છે.આનાથી ગુપ્ત શત્રુ,જેલવાસ,કોર્ટ-કચેરી,મોટી મુસાફરીમાં તકલીફો કે આંખનું ઓપરેશન વગેરે યોગો ઊભા થાય છે.

         આમ દ્રશ્ય અને અદ્રશ્ય ગોળાર્ધમાં આવતા રાહુ અને કેતુ ઉપર પ્રમાણેના યોગો ઊભા કરે છે.આ યોગો ખાસ કરીને રાહુ યા કેતુની મહાદશા-આંતરદશામાં વિશેષ જોવા મળે છે.શનિની પનોતિ ચાલતી હોય અને ગોચરમાં રાહુ અશુભ બને ત્યારે પણ ખરાબ પરિણામ મળે છે.દ્રશ્ય ગોળાર્ધમાં થતો આ જ કાળસર્પયોગ રાતોરાત ઊચા આસને બેસાડી દે છે.શૂન્યમાંથી સર્જન કરવા સહાયભૂત થાય છે.રાતોરાત કરોડપતિ બનાવી દે છે આમ અદ્રશ્ય ગોળાર્ધમાં.. ઉલટું ફળ મળે છે.

કાળસર્પયોગનો ભંગ ઃ

( ૧ ) રાજયોગ ,કીર્તિયોગ ,ધનયોગ  થયા હોય તો કાળસર્પયોગનો ભંગ થાય છે.

( ૨ ) કાળસર્પયોગમાં રાહુ સાથે મંગળ હોય તો આ યોગનો ભંગ થાય છે.

( ૩ ) રાહુ સાથે અન્ય ગ્રહ રહ્યો હોય પરંતુ અંશાત્મક રીતે આગળ વધી જતો હોય તો પણ ભંગ થાય છે.

( ૪ ) યુરેનસ,નેપ્ચ્યૂન,,પ્લુટોને આ યોગ સમયે ગણતરીમાં લેવામાં નથી આવતા. ( શા માટે ? એક કોયડો છે.જ્યોતિષ મિત્રોને ઉકેલવા વિનંતિ )

( ૫ ) રાહુ-કેતુની બહાર એક પણ ગ્રહ આવેલ હોય તો પણ ભંગ થાય છે.

( ૬ ) રાહુ-કેતુની ગતિ બીજા ગ્રહો કરતાં ઉલટી છે.જો રાહુની ગતિ દરમ્યાન બીજા ગ્રહો તેના મુખમાં પ્રવેશતા હોય તો આ યોગ થાય છે પરંતુ જો રાહુની ઉલટી ગતિ દરમિયાન એક પણ ગ્રહ મુખમાં પ્રવેશતો ન હોય તો આ યોગ થતો નથી.

( ૭ ) કેન્દ્રમાં સ્વગ્રુહ કે ઉચ્ચનો ગુરુથી ગજકેસરી યોગ થતાં કાલસર્પયોગનો ભંગ થાય છે.

( કેન્દ્રમાં સ્વગ્રુહી કે ઉચ્ચના શુક્ર / મંગળ/ શનિ /બુધ થી બનતાં અનુક્રમે માલવ્ય યોગ/રૂચક યોગ/શશ યોગ/ભદ્ર યોગ થી પણ કાલસર્પયોગ ભંગ થાય છે.

કાળસર્પયોગ નિવારણ ઃ

નીચે દર્શાવેલ પ્રયોગથી આ યોગનું નિવારણ યા રાહત થાય છે. પરંતુ ઈશ્વર ઉપર શ્રદ્ધા અને આસ્થા ખૂબ જ આવશ્યક છે..

( ૧ ) રાહુ-કેતુના જપ અને દાન કરવા

( ૨ ) ” ઓમ નમઃ શિવાય ” મંત્ર કરવા

( ૩ ) ગાયત્રી મંત્રનું અનુષ્ઠાન કરવું

( ૪ ) કુળદેવીની માનતા રાખવી.

( ૫ ) બુધવાર કરવા,બુધવારે અન્નદાન તથા શ્રાવણમાસમાં શંકર ભગવાનને બીલીપત્રો શિવ પંચાક્ષર મંત્ર ( ઓમ નમઃ શિવાય ) કરી ચડાવવા.

( ૬ ) બુધવતી અમાસે અર્થાત બુધવાર આવતો હોય અને અમાસ હોય ત્યારે ત્રિવેણી સંગમ સ્થળે (ગુજરાતમાં  નજીકમાં ચાંદોદ-કરનાલી ) કાળસર્પની વિધિનું નિવારણ કરાવવાથી આ દોષની મુક્તિ થાય છે.

કાળસર્પ યોગની વિધિ ક્યારે ન કરવી ?

( ૧ ) કાળસર્પ યોગનાં નિવારણની વિધિ ઘરમાં કોઈ શુભ પ્રસંગ આવતો હોય જેમ કે લગ્ન,જનોઈ,કે વાસ્તુ હોય તેવા સમયમાં ન કરવી હિતાવહ છે.

( ૨ ) બિમાર જાતકથી આ વિધિ ન કરવી ઉચિત ગણાય તથા ગર્ભવતી સ્ત્રીઓને પણ આ વિધિ ન કરવા સલાહ છે.

કાલસર્પ યોગ વિશે કાંઈક અવનવુ ?

જે જાતકની જન્મકુંડળીમાં કાલસર્પ યોગ થયો હોય તો તેઓને નીચે દર્શાવેલ ત્રણ વિકલ્પ  મોટે ભાગે સાચા પડતાં જોવા મળે છે.

( ૧ ) જાતક ૪૨ થી ૪૬ વર્ષની ઉંમરે વધુમાં વધુ ધન-સંપત્તિ મેળવશે.

                          અથવા

( ૨ ) જાતકને ૪૨ થી ૪૬ વર્ષની ઉંમરે પોતાની કારકિર્દીનો અંત થતો જોવા મળે.

                          અથવા

( ૩ ) જાતકને ૪૨ થી ૪૬ વર્ષની ઉંમરે શું કરવું તેનો ખ્યાલ ન આવતા મોટી દ્વિધામાં જોવાય.

       આ ઉપરાંત શાસ્ત્રમાં એ પણ કહ્યું છે કે ” કાલસર્પયોગઃ કાલામ્રુત યોગો ભવતો કેતવે લગ્નાત અષ્ટમે સ્થિતિ ” અર્થાત કેતુ, લગ્નથી આઠમા ભાવમાં હોય તો કાલસર્પયોગ, કાલામ્રુતયોગ બને છે અને જાતકને પુષ્કળ સુખદાતા અને સમ્રુદ્ધ બનાવે છે.( આ યોગ દ્રશ્ય ગોળાર્ધમાં જ થાય છે )..

  છેલ્લે. ફરીથી કહેવાનું કે  આ કાલસર્પ યોગથી સહેજય ગભરાવાની જરૂર નથી.. ફક્ત નામ જ જરા ડરાવનું છે..જીવનમાં ૪૨ વર્ષ પછી પરિવર્તન આપનારો આ યોગ છે.વિશિષ્ટ પ્રકારનું જીવન જીવનારા ,સમાજની ,દેશની સેવા કરનારા,તથા જીવનમાં યશ-કિર્તિ મેળવનારાની જન્મકુંડળીમાં કાળસર્પ યોગ પણ જોવામાં આવ્યો જ છે.

———————  ઈશ્વરેચ્છા બલીયસિ—————-

 

 

 

 

 

 

       યાતનાસૂચક શનિ-સૂર્ય યુતિ યોગ..( ૧ )

           

માનવીના જીવન વિકાસ અને પતનમાં ગ્રહો અગત્યનો ભાગ ભજવે છે.ગ્રહોની અસરથી કોઈ મુક્ત નથી.ગ્રહો જ્યારે એકબીજા સાથે શુભ સંબંધમાં આવે ત્યારે જીવનસુખી અને સફળ બને છે અને માનવજીવન સાર્થક થાય છે પરંતુ જ્યારે તે અશુભ સંબંધમાં આવે ત્યારે માનવીના જીવનને પાયમાલ કરી મૂકે છે.જીવનમાં વિષાદ અને શોકની હારમાળા સર્જાય છે.ચારે તરફ અંધકાર વ્યાપે છે અને જિંદગી ભારરૂપ લાગે છે.ગ્રહગતિનો ખેલ અજબ છે.માનવીના જીવનમાં ગ્રહોની યુતિ ,પરસ્પર દ્રષ્ટિસંબંધ અને પરિવર્તન મહત્વનો ભાગ ભજવે છે.

      જન્મકુંડળીમાં સૂર્ય-શનિનો કોઈ પણ પ્રકારે સંબંધ થયો હોય તો જીવનમાં મુશ્કેલીઓ ,સંઘર્ષ ,લડાઈ-તકરાર ,માન-પ્રતિષ્ઠાની હાની-નુકસાન , કૌટુંબિક-સામાજિક અશાંતિ, પિત્રુહાનિ તથા સરકાર  કે અધિકારી વર્ગથી સંઘર્ષ  અને નિષ્ફળતા મળે છે.

જ્યોતિષશાસ્ત્રમાં સૂર્ય પિતા અને શનિ પુત્ર ગણાય છે. શનિને સૂર્યપુત્ર કહ્યો છે છતાં બંનેના વર્તન એકબીજા સાથે પિતા-પુત્રના સંબંધ જેવા નથી પણ તેનાથી વિપરીત છે.સૂર્ય-શનિ ,  પિતા-પુત્ર હોવા છતાં પણ પરસ્પર એકબીજાના શત્રુ છે.

સૂર્ય-આત્મા , સત્તા ,અધિકાર ,પ્રતિષ્ઠા , પિતા ,માન- આબરૂ , હ્રદય તથા  નેત્ર-પ્રકાશ વગેરેનો કારક છે.જન્મકુંડળીમાં સૂર્ય લગ્ન અર્થાત દેહ-શરીર સ્થાન ,આત્મા ,ચરિત્ર્ય , સંપત્તિ ,વ્યક્તિત્વ ,તથા નવમા -ભાગ્ય સ્થાન અર્થાત ધર્મ ,નસીબ , લક્ષ્મીનો કારક છે તેજ રીતે દશમા કર્મસ્થાન અર્થાત રાજ્યસત્તા ,અધિકાર ,પ્રતિષ્ઠા ,કર્મ ,ઉચ્ચસત્તા તથા પિતાનો પણ કારક મનાય છે.શરીરમાં આમાશય , હ્રદય , હાડકા ,ડાબી આંખ , ચામડી અને શિર પર સૂર્યનો અધિકાર છે એટલે હ્રદયરોગ , તાવ ,નેત્રપીડા ,આમાશય રોગ ,અસ્થિભંગ ,શિરદર્દ-પીડા અને કોઢના રોગ પર અધિકાર રહે છે.

 શનિ-લોભ ,દુઃખ ,મુશકેલીઓ ,પીડા , હાની ,મહેનત- મજૂરી ,માંદગી ,વ્રુદ્ધાવસ્થાનો કારક છે.તે ત્યાગ , નિવ્રુત્તિ , વિરકતિનો ગ્રહ છે.તેનું બીજું નામ યમ છે.મ્રુત્યુ પર તેનું આધિપત્ય છે.શનિ જન્મકુંડળીમાં છટ્ઠા ,આઠમા , દશમા અને બારમા સ્થાનનો કારક છે. છઠ્ઠું ,આઠમું અને બારમું સ્થાન જીવનની અશુભ બાબતોનો નિર્દેશ કરે છે. તે આધિ ,વ્યાધિ અને ઉપાધિઓનું પ્રતિનધિત્વ કરે છે. શનિ શરીરમાં પગ , હાડકાં ,માસપેશીઓ ,દાંત ,ત્વચા અને વાળ ઉપર અમલ કરે છે.જેથી  કમજોરી ,દાંત-ત્વચા , પીડા ,અસ્થિભંગ ,અંધાપન ,લકવો ,હિસ્ટીરિયા ,વાયુના રોગ ઉપર તેનો અધિકાર રહે છે.

સૂર્ય એટલે પિત્ત અને શનિ એટલે વાયુ.પરિણામે સૂર્ય – શનિના અશુભ સંબંધથી પિત્ત- વાયુના દોષો શરીરમાં ઉત્પન્ન થાય છે.પરીણામે શરીરમાં દાહ ,ખણ-ખૂજલી ,વાળનું સફેદ થવું ,મોંઢા ઉપર કરચલીઓ પડવી વગેરે અસર થાય છે તથા ચામડી લૂખી બને છે.

સૂર્ય ગ્રહોમાં રાજા છે અર્થાત રાજ્યસત્તાનો સૂચક છે.જ્યારે શનિ આમ- જનતા ,મહેનત-મજૂરી કરનાર કચડાયેલા વર્ગનું પ્રતિનિધત્વ કરે છે.એટલે સૂર્ય-શનિનો સંબંધ સ્થાપિત હિતો ,રાજ્યસત્તા ,સતાધિશો સાથે સંઘર્ષ  અને ચળવળ કરાવે છે.

શનિ ગ્રહ  સૂર્યનો શત્રુ છે જેથી વ્યક્તિને ક્રાંતિકારી બનાવે છે તથા સરકાર સાથે વિગ્રહ કરાવે છે.દસમા સ્થાનનો કારક હોવાથી અને સૂર્ય-શનિ પરસ્પર શત્રુ ગ્રહો હોવાથી સૂર્ય-શનિની યુતિ કે પરસ્પર દ્રષ્ટિ સંબંધ થતાં વ્યક્તિના માથે નાની ઉંમરે જવાબદારીઓ આવી પડે છે.બીજાઓ માટે જીવનનો બોજો વહન કરવો પડે છે.યશ-પ્રતિષ્ઠા મળતાં નથી અને અન્યાયનો ભોગ બનવું પડૅ છે.અન્યાય સહન નહિ થતાં ચળવળ-હડતાળની આગેવાની લેવી પડે છે.જેથી સરકારી નોકરીમાં વરિષ્ઠ અધિકારીઓની નારાજગી – ખફાનો ભોગ બનવું પડે છે. સરકારી નોકરીમાં આક્ષેપો આવે અને ક્યારેક  સસપેન્ડ કે ડિસમિસ પણ થવું પડે છે…

સૂર્ય પ્રથમ સ્થાનનો-પ્રક્રુતિનો કારક છે જેથી સૂર્ય-શનિના સંબંધો વ્યક્તિને આવેગી ,મતલબી ,અહમી અને સંકુચિત બનાવે છે.જાતક વહેમ અને પૂર્વગ્રહથી પિડાય છે અને પોતાના જ જીવનને દુઃખી કરે છે.શંકાશીલ સ્વભાવને લીધે સ્નેહી-સંબંધીઓ સાથે ,સમાજમાં કે વ્યવસાયના ક્ષેત્રમાં પણ કોઈની જોડે બનતું નથી જેથી માણસ જીવનભર દુઃખી રહે છે.

સૂર્ય ભાગ્યસ્થાનનો પણ કારક છે જેથી સૂર્ય-શનિના સંબંધો ભાગ્યહાનિ સંભવે છે . ભાગ્યની ગતિમાં અવરોધો આવે છે અને પીછેહઠ કરવી પડે છે.વ્યવસાયના ક્ષેત્ર અવાર-નવાર બદલાય કે તેમાં હાનિ સંભવે છે. સરકારી નોકરીમાં નિરંતર સ્થાનફેર થયા કરે છે.પાછલી અવસ્થામાં ડાબા થાપે રાંઝણ થવાની શક્યતા રહે છે.

સૂર્ય પિત્રુકારક મનાય છે અને શનિ સૂર્યપુત્ર હોવા છતાં પણ પરસ્પર શત્રુતા છે.જેથી સૂર્ય-શનિની યુતિ હોતાં પિતાની સાથે અણબનાવ – વિરોધ થયા કરે  છે. પિતાથી અલગ થવું પડે છે.જ્યારે સૂર્ય-શનિ વચ્ચે પરસ્પર દ્રષ્ટિસંબંધ થયો હોય તો પિત્રુસુખની હાનિ થાય છે.ક્યારેક નાની ઉંમરમાં પિતાનુ અવસાન પણ સંભવે છે.

સ્ત્રીની કુંડળીમાં સૂર્યને  પતિનો કારક મનાયો છે.જેથી સૂર્ય-શનિની યુતિ કે દ્રષ્ટિ-સંબંધથી લગ્નજીવનમાં  નિષ્ફળતા સંભવે છે. મોટી ઉંમરના પુરુષ સાથે પ્રેમ કે લગ્નસંબંધ સંભવે  છે.જ્યારે પુરુષની કુંડળીમાં શનિ-સૂર્યની યુતિ કે દ્રષ્ટિ-સંબંધ હોય તો જાતકના મોટી ઉંમરે લગ્ન થાય કે લગ્ન ઉપરાંત વધારોનો સંબંધ સંભવે તથા ઉંમરમાં નાની યુવાન સ્ત્રી અગર પ્રિયતમા મળે છે.આમ  સૂર્ય-શનિનો સંબંધ નીચી કક્ષાના સંબંધો આપે છે.

સૂર્ય-શનિનો સંબંધ શરીરમાં લોહીની ઊણપ આપે છે.તાવની શક્યતા રહે છે.હ્રદય અને રક્તવાહિનીઓમાં સંકોચ થતાં રક્તના ભ્રમણમાં રૂકાવટ થાય છે જેથી નસો ખેંચાય છે.હાથે-પગે કળતર થાય છે, હાડકાં નબળા રહે અને કરોડરજ્જુમાં દુઃખાવો  થાય છે.હ્રદયમાં લોહીનું હળવું દબાણ પણ રહે છે.સૂર્ય-શનિનો સબંધ કોઈવાર મોતના મુખમાં ધકેલી દે છે.અસ્વભાવિક-અકુદરતી મોત પણ સંભવે છે.જેલયાત્રા પણ જોવી પડે છે..

   જન્મકુંડળીના સૂર્ય-શનિના સંબંધને કારણે જાતક રાજકીય ક્ષેત્રે રાજકારણમાં ઝંપલાવે છે.સૂર્ય-શનિ બંને પરસ્પર શત્રુ ગ્રહો હોવાથી સત્તા પ્રાપ્તિ માટે સાનુકૂળ નથી જેથી સૂર્ય-શનિના યોગવાળી વ્યક્તિઓને સત્તા પ્રાપ્ત કરવા માટે સંઘર્ષ કરવો પડે છે.સત્તા પ્રાપ્ત થાય તો પણ તેને જાળવવામાં મુશ્કેલી પડે છે.તેમાં ચડતી – પડતી પણ જોવી પડે છે.રાજકારણમાં ઝંપલાવતા આવા યોગવાળી વ્યક્તિઓ નીડર-પરાક્રમી હોય છે પણ અભિમાની-અહંકારી અને ઝગડાખોરી સ્વભાવને લીધે તથા જિદ્દી-જક્કી હોવાથી સમાધાનકારી વલણના અભાવે જાતક , હરીફો-શત્રુઓ-વિરોધીઓની હારમાળા ઊભી કરે છે.

                    સૂર્ય-શનિ યુતિ કે પરસ્પર દ્રષ્ટિ-સંબંધમાં બંને સ્વગ્રુહી કે ઉચ્ચના હોય ત્યારે વ્યક્તિને નીડર ,બળવાન ,અને પ્રતિભાશાળી બનાવે છે. ગ્રહો જેમ વધારે બળવાન તેમ તેનું સ્થાન ઊંચુ રહે છે. જો કે સૂર્ય-શનિની યુતિ ત્રિકોણ સ્થાનમાં સારું ફળ આપે છે.જીવનમાં સૂર્ય-શનિની મહાદશામાં શનિ-સૂર્યની અંતરદશા ખરાબ ફળ આપે  છે અને અનિષ્ટકારી નીવડે છે.

જન્મકુંડળીમાં સૂર્ય જે રાશિમાં રહેલો હોય અને તેના ઉપરથી ગોચરનો શનિ પસાર થાય અગર દ્રષ્ટિ કરે ત્યારે વ્યક્તિના જીવનમાં પરિવર્તન આવે છે.સારા પરિવર્તન માટે કુંડળીમાં બંને સૂર્ય અને શનિ બળવાન હોવા જરૂરી છે પરંતુ બંને નિર્બળ હોય તો અશુભ પરિવર્તન આપે છે.

ટૂંકમાં , જ્યારે જન્મકુંડળીના  સૂર્ય ઉપરથી કે સાતમેથી ગોચરનો શનિ પરિભ્રમણ કરે ત્યારે વ્યક્તિને કૌટુંબિક – સામાજિક જીવનમાં , નોકરી – વ્યવસાયમાં પરિવર્તન આપે છે.જીવનમાં વિટંબણાઓ-મુશ્કેલીઓ , ધનહાનિ ,નોકરી -વ્યવસાયમાં નિષ્ફળતા , માનહાનિ , પિત્રુનાશ તથા જેલબંધન યોગ કરે છે.જન્મકુંડળીમાં સૂર્ય-શનિની યુતિ કે પરસ્પર દ્રષ્ટિસંબંધ થયેલો હોય અને ગોચર પરિભ્રમણમાં પણ શનિ એ જ સ્થિતિમાં આવે ત્યારે તેવા જાતકોએ ખાસ કાળજી રાખવી જોઈએ જેથી આવનાર અનિષ્ટના નિવારણાર્થે યોગ્ય ઉપાય થઈ શકે.

——————————–ઈશ્વરેચ્છા બલીયસિ————————-

  વાસ્તુશાસ્ત્ર અને ભાગ્ય                                                                                              

પરમાત્માની સ્રુષ્ટિ સાથે તાલમેલમાં રહી કરેલ પ્રત્યેક કાર્ય શુભ પરિણામદાયી બની રહે છે. તેથી જ મુહૂર્તના સમયમાં આરંભેલ પ્રત્યેક કાર્ય શુભ પરિણામ આપે છે.વાસ્તુશાસ્ત્રના પાયામાં પણ આજ ઉદ્દેશ સમાયેલો છે. વાસ્તુશાસ્ત્રમાં માનવી અને પંચમહાભૂત વચ્ચે સુસંવાદિતા સ્થપાય અને જળવાઈ રહે તે જોવાનો પ્રયાસ થાય છે.આ સુસંવાદિતતા જ માનવીને સુખ ,શાંતિ તથા ઐશ્વર્યતા આપે છે.વાસ્તુશાસ્ત્ર એ આપણી ગુરુ પરંપરાને આધારે પ્રાપ્ત થયેલું શાસ્ત્ર કે જ્ઞાન છે.

 દરેક વ્યક્તિનું ભાગ્ય તેના પૂર્વ જન્મના કર્મો અનુસાર પહેલેથી જ નિર્ધારિત થયેલું હોય છે.વાસ્તુ પણ પ્રક્રુતિના નિયમોનું પાલન કરી મનુષ્યના ભાગ્યનો ઉદય કરે છે.જો વાસ્તુ ક્ષતિયુક્ત હોય અને ભાગ્ય સાનૂકુળ હોય તો સંઘર્ષ ઓછો થાય છે , પરંતુ તે સમાપ્ત થતો નથી.જો ભાગ્ય ખરાબ હોય અને વાસ્તુ સાનૂકુળ હોય તો પરેશાની ઓછી હશે પરંતુ તે સમાપ્ત તો થશે નહીં. જો ભાગ્ય અને વાસ્તુ એ બંને ખરાબ હોય તો મનુષ્ય જીવનભર સંઘર્ષપૂર્ણ સ્થિતિમાંથી છૂટકારો મેળવી શકાતો નથી.

લક્ષ્મી , ધન , કારોબાર વગેરે વ્યક્તિના ભાગ્ય સિવાય ઘર , દુકાન , ફેક્ટરી વગેરેના આકાર , પ્રકાર અને આંતરિક વિભાગોની અવસ્થા તથા તેની આસપાસના વાતાવરણ પર નિર્ભર રહે છે.

વાસ્તુશાસ્ત્ર એ તો પ્રક્રુતિના અનુસંધાન પર આધારિત ઉચ્ચ કોટિનું એક વિજ્ઞાન છે જે આપણા પાંચ કુદરતી તત્વો – જળ , વાયુ , અગ્નિ ,આકાશ , અને ભૂમિમાં સમતુલા બનાવી રાખવાનું શિક્ષણ પણ આપે છે.ઉત્તર દિશામાંથી મનુષ્યને ચુંબકીય યા ગુરુત્વાકર્ષણ શક્તિની પ્રાપ્તિ થાય છે જે મસ્તિષ્કને સભાન રાખવામાં મદદરૂપ બને છે.પૂર્વ દિશામાંથી સૌર ઊર્જાનું આગમન થાય છે જે મનુષ્યના શરીરને ઊર્જાવાન કરવામાં સહાયતા કરે છે.ઉત્તર-પૂર્વ દિશા મનુષ્યને કોસ્મિક ઊર્જા અર્થાત પ્રાણ-ઊર્જા પ્રદાન કરે છે જેના કારણે મનુષ્ય પોતાને ક્રિયાશીલ અનુભવે છે.

વાસ્તુ દ્વારા આમ તો આપણા ભાગ્યને આપણે બદલી શકતા તો નથી પરંતુ પોતાના જીવનને સુખમય બનાવવા અને તેના માર્ગમાં આવતા અંતરાયોને દૂર કરવાની ચેષ્ટા તો જરૂર કરી શકીએ છીએ.વાસ્તુના સિદ્ધાંતોને અનુરૂપ ઉપાયો યોજી જીવનની અનેક સમસ્યાઓને ઓછી જરૂર કરી શકીએ છીએ.

ઈશાન ( North-East )  ખૂણામાં પરમાત્માનો વાસ છે, તેથી મકાનના ઈશાન ખૂણામાં પૂજારૂમ રાખી પૂજા તથા ધ્યાન કરવું ઉત્તમ છે.પૂજા માટે પશ્ચિમ દિશામાં બેસીને પૂર્વ દિશા તરફ નજર રહે તેમ બેસવું.ઈશાનમાં પાણિયારું રાખવું ઉતમ છે.ઈશાનમાં પ્રવેશદ્વાર રાખી શકાય.ઘરના ઈશાન  ખૂણાનો ભાગ હંમેશ માટે સ્વચ્છ રાખી પવિત્રતા જાળવવાથી સરળતાથી સુખ અને ધન પ્રાપ્ત કરી શકાય છે.મકાન-ભવનની ચોફેર ફરવા માટે પૂરતો માર્ગ હોય તો તે ઘરમાં રહેનારા લોકોને અપાર ધન-સંપત્તિ અને યશ – વૈભવની પ્રાપ્તિ થાય છે.ઉત્તર ગલીના મકાનમાં ઉત્તર યા ઉત્તર-પૂર્વમાં ( ઈશાન ) દરવાજો બેસાડવાથી આવકના સ્ત્રોતોમાં વ્રુદ્ધિ તથા યશની પ્રાપ્તિ થઈ શકે છે.ભૂખંડનો ઉત્તર્-પૂર્વી ભાગ નીચો હોય યા તેમાં કોઈ ખાડો ,તળાવ ,ઝરણું કે વહેતુ નાળું યા નદી હોય તો આવા સ્થાનને કૉઈપણ મૂલ્ય આપીને ખરીદી લેવું હિતાવહ છે. આવું ભૂખંડ લેતાં જ કારોબાર ,સુખ -સમ્રુદ્ધિ વગેરેમાં ચમક આવશે. થોડાં જ પ્રયત્ને ઝાઝાં કામ થવાં માંડશે

અગ્નિ  ખૂણામાં ( South-East  ) અગ્નિનો વાસ હોવાથી અગ્નિ ખૂણામાં રસોડું રાખવું ઉત્તમ છે.ઉપરાંત ઊર્જા સંબંધિત સાધનો જેવા કે ઘરઘંટી , ફ્રિઝ ,મિક્ષર , ગેસની સગડી વગેરે.. શક્ય હોય ત્યાં સુધી અગ્નિ ખૂણામાં રાખવા.અગ્નિ દિશા મનુષ્યને સ્વાસ્થ્ય પ્રદાન કરે છે.આ દિશામાં કોઈ પણ પ્રકારનો દોષ હોય તો સ્વાસ્થ્યની હાની ,ગ્રુહવાસીઓને ગુસ્સો આવે અને ધંધામાં રુકાવટની સમસ્યાના કારણે અનેક મુશ્કેલીઓ સંભવે છે.

પૂર્વ દિશામાં ડાઈનીંગ રૂમ , બેઠક રૂમ વગેરે રાખવા હિતાવહ છે. પૂર્વ દિશામાં પ્રવેશદ્વાર રાખવું ઉત્તમ છે.મકાનમાં પૂર્વ દિશા તરફ વધારે બારી-બારણાં તથા બાલ્કની રાખવા પણ હિતાવહ છે.પૂર્વ દિશા એ વંશવ્રુદ્ધિની દિશા કહેવાય છે તેથી ભવનના નિર્માણ વખતે ભૂખંડનો કેટલોક ભાગ ખુલ્લો છોડી દેવો જોઈએ.ખુશહાલી , વ્યક્તિગત , પારિવારિક અને આર્થિક વિકાસ માટે છોડ-વ્રુક્ષ રોપવાં જોઈએ.ઘરમાં આ સ્થાનને સ્વચ્છ રાખવાથી કોઈપણ કાર્યમાં સફળતા પ્રાપ્ત કરવામાં વિલંબ થતો નથી.વધારે પડતો શ્રમ થયો હોય તો પૂર્વ તરફ મસ્તક રાખીને સૂવું.આમ કરવાથી પ્રતિકુળ શક્તિઓ અને વિરોધી પક્ષો અનૂકુળ થશે અને સમસ્યાઓનું સમાધાન શક્ય થશે .

દક્ષિણ દિશામાં યમનો વાસ છે તેથી અહીં ટોઈલેટ , ગેરેજ ,બેડરૂમ ,રસોડું  વગેરે રાખી શકાય . દક્ષિણ દિશામાં બેઠકરૂમ હોય તો તમારી નજર પૂર્વ કે ઉત્તર તરફ રહે તેમ ફર્નીચરની ગોઠવણી કરવી.દક્ષિણ દિશામાં હંમેશા મસ્તક રાખીને સૂવાથી સ્વાસ્થ્ય અને આયુષ્ય વધે છે.ભારે મૂર્તિઓ ,ફોટા ..વગેરે યથાશક્ય દક્ષિણની  દિવાલ પર  લગાવવા જોઈએ. ( ઉત્તરની દિવાલ પર કદી લગાવવા નહી ).

નૈઋત્ય ( South-West ) દિશામાં પિત્રુનો વાસ છે તેથી અહીં વધારે વજનદાર વસ્તુઓ રાખવી જેવી કે ડ્રેસિંગરૂમ ,સ્ટોરરૂમ ,તિજોરી વગેરે વગેરે.. તિજોરી અહીં રાખી હોય તો તે ઉત્તર બાજુએ ખૂલે તેમ રાખવી.બાથરૂમ દક્ષિણ કે નૈઋત્યમાં રાખવું હિતાવહ નથી.સીડી કે દાદરો નૈઋત્યમાં રાખી શકાય. આ દિશા વ્યક્તિને નમ્ર અને ચરિત્ર્યવાન થવામાં સહાયક બને છે.તેથી ભૂખંડનો આ ભાગ ગ્રુહસ્વામીના શયનકક્ષ માટે ઉત્તમ ગણાય છે પરંતુ જો તે દોષપૂર્ણ હોય ( એટલે કે  વધેલો કપાયેલો હોય કે તેમાં જળની ભૂમિગત વ્યવસ્થા ભોંયરું અથવા ખાડૉ હોય ) તો ગ્રુહસ્વામીને આર્થિક અને માનસિક પીડા તથા ચિરકાલીન સ્વાસ્થ્ય સંબંધી તકલીફ સંભવે ).

પશ્ચિમ દિશામાં વરુણનો વાસ છે.આ દિશા સફળતા ,કીર્તિ ,યશ અને ઐશ્વર્યદાયિની હોય છે તેથી અહીં અભ્યાસરૂમ રાખી શકાય.અભ્યાસ માટે નજર પૂર્વ તરફ રાખવી.આ ઉપરાંત અહીં ડાઈનીંગ રૂમ ,ઓવરહેડ ટેંક ,બાથરૂમ ,ટોઈલેટ ,બેડરૂમ વગેરે રાખી શકાય છે.પરંતુ જો આ દિશામાં દોષ હોય તો મનુષ્યનું જીવન હંમેશા સંઘર્ષમય સંભવે છે.

વાયવ્ય ( North-west ) ખૂણૉ મિત્રતા અને શત્રુતાનો કારક હોય છે.વાયવ્ય દિશામાં વાયુદેવ તથા ચંદ્રનો વાસ છે તેથી નવા પરણૅલા તથા કુંવારી કન્યાનો બેડરૂમ ,ગેરેજ , સ્ટોર ,બાથરૂમ , રસોડું વગેરે અહીં રાખી શકાય. વાયવ્યમાં બેસીને ધ્યાન કરવાથી ધ્યાનમાં વિચારોનું વિઘ્ન અનુભવાય છે.જો આ ખૂણૉ દોષરહિત હોય તો સારા પ્રસંગોના યોગ બનતા રહે છે.પરંતુ જો દોષપૂર્ણ હોય તો કાર્યોમાં રુકાવટ ,મુકદમાબાજી ,અકારણ દુશ્મનાવટ વગેરે સમસ્યા સંભવે છે.આ ખૂણામાંની બંધ અવસ્થા ,વધ-ઘટ અવસ્થા યા તેમાં ખાડો કે ભૂમિમાં જળાશય હોય તો ગ્રુહસ્વામિને વિભિન્ન સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

ઉત્તર દિશામાં કુબેરનો વાસ છે તેથી તિજોરી માટે સ્ટ્રોંગરૂમ અહીં રાખવો ઉત્તમ છે.આ ઉપરાંત લાઈબ્રેરી ,બેડરૂમ  વગેરે પણ રાખી શકાય . ઉત્તર દિશામાં વધારે બારી-બારણા , બાલ્કની તથા પ્રવેશદ્વાર રાખી શકાય છે.

દક્ષિણ દિશા ,અગ્નિ ખૂણો ( South-East ) , નૈઋત્ય ખૂણો ( South-west ) ,વાયવ્ય ( North-West ) તથા મકાનના મધ્ય ભાગમાં બાથરૂમ બનાવવું હિતાવહ નથી.આજ રીતે સીડી- દાદર કે  લિફ્ટ.. ઈશાન ખૂણામાં ( North-East ) કે પૂર્વમાં ના રાખવા જોઈએ.અલ્બત્ત અગ્નિ ખૂણામાં રાખી શકાય છે. જે જમીન કે પ્લોટના મધ્ય ભાગમાં ખાડો હોય કે જમીન બેસી ગયેલ હોય તેવી જમીન પર વાસ્તુશાસ્ત્ર  કે રેક્ટિફિકેશન કરાવ્યા વગર મકાન બનાવવું નુકશાનકારક સાબિત થઈ શકે છે..

——————————ઈશ્વરેચ્છા બલીયસિ ———————-

 

 

 

 

               

 

વિવાહ-લગ્નરેખા ‘   અને   લગ્નસુખ

કુંડળીના અભાવમાં હાથોની રેખાઓના આધારે પણ વૈવાહિક જીવન અને સંતતિની જાણકારી પ્રાપ્ત કરી શકાય છે.પ્રસ્તુત લેખની ચર્ચા માટે આજે આપણે હસ્તરેખાશાસ્ત્રનો આધાર લઈશું.

( ૧ ) વૈવાહિક સુખનું જ્ઞાન વિવાહરેખા ( Marriage Line ) પરથી થાય છે. આ રેખા હ્રદયરેખાની ( Heart Line ) નજીક બુધ પર્વત પર હોય છે. વિવાહરેખાઓ એક કરતા વધારે પણ હોય છે.જે લોકોની વિવાહરેખાઓ હ્રદયરેખાની ઉપર હોય છે તેમનાથી ૨ થી ૩ ટકા જ બાદ કરતા સૌના વિવાહ થઈ જાય છે.જેના હાથમાં વિવાહરેખાઓ હ્રદયરેખાની નીચે હોય છે તેમનામાંથી ૨ થી ૩ ટકા છોડતાં સૌના વિવાહ થતા નથી.જો વિવાહરેખા બારીક અને સીધી હોય તો તે અતિ ઉત્તમ હોય છે અને તે શુભ વિવાહનો સંકેત આપે છે.આ વિવાહરેખા જેટલી હ્રદયરેખાની નજીક હશે તેટલો વિવાહ તરત જ સમ્પન્ન થશે.

( ૨ ) વિવાહરેખાઓ બે , ત્રણ ,ચાર હોય તેમાંથી જે રેખાઓ સ્વચ્છ ,સુંદર , સ્પષ્ટ અને નિર્દોષ હશે તે વિવાહની દ્યોતક હશે.બાકીની રેખાઓ સંબંધ કે પ્રેમસંબંધ  તૂટવાનો સંકેત આપતી હોય છે.

( ૩ ) લાંબી વિવાહરેખાઓ સાથે ગુરૂ પર્વત પર ક્રોસ હોય તો તે શુભ મનાય છે.તે પતિ-પત્ની વચ્ચેના મધુર સંબંધનો સંકેત આપે છે.

( ૪ ) વિવાહરેખા લાંબી હોય અને તેનો છેડો બેમુખી હોય તો પતિ-પત્ની વચ્ચે પરસ્પર વૈચારીક મતભેદ સંભવે છે.સંતાન , સંપત્તિ અને અન્ય બાબતે બંને વચ્ચે વૈમનસ્યતા સંભવે છે.

( ૫ ) જો આ વિવાહરેખાના છેડાની કોઈપણ શાખા હ્રદયરેખાને સ્પર્શતી હોય તો તે જાતક પત્ની કરતા પોતાની સાળી તરફ વધુ આકર્ષાય છે.

( ૬ ) ચંદ્ર ( Moon ) પર્વત પરથી નીકળનારી રેખા ભાગ્યરેખાને ( Fate Line ) મળી જાય તો વ્યક્તિનો ભાગ્યોદય વિવાદોપરાંત થાય છે.

( ૭ ) જો ભાગ્યરેખાને કોઈ રેખા કાપે તો અનેક અંતરાયો ઊભા થાય છે.

( ૮ ) વિવાહરેખા પ્રારંભમાં બેમુખી થઈને આગળ વધે તો સંબંધ થઈને તૂટી શકે છે અથવા વિવાહમાં કોઈ કારણસર વિલંબ સંભવી શકે છે.

( ૯ ) જીવનરેખાની ( Life Line ) સમાંતર કોઈ રેખા ચાલે  ( જેને મંગળરેખા /  Mars Line ) અથવા જીવનરેખાની સહાયક રેખા પણ કહે છે ) તો પતિ-પત્નીનો પરસ્પરનો સંબંધ ખૂબજ પ્રગાઢ સંભવે છે.

( ૧૦ ) જો ચંદ્ર પર્વત પરથી કોઈ રેખા ઊપસીને ભાગ્યરેખાને જઈને મળે તો સમજી લેવું કે તે જાતકનો વિવાહ થઈ ચૂક્યો છે !

( ૧૧ ) હ્રદયરેખાના અંતમાં ક્રોસ હોય તો જાતકનું દુર્ઘટના કે અન્ય કારણસર જીવન ટૂંકુ હોઈ શકે.

( ૧૨ ) વિવાહરેખામાં યવ હોય તો પારિવારિક સુખમાં અંતરાય ,કષ્ટ ,સંઘર્ષ સંભવે છે.

( ૧૩ ) જો વિવાહરેખા આગળ વધીને હ્રદયરેખા અને કાયમી જીવનરેખાને મળી જાય તો તે સ્થિતિ છૂટાછેડાની સૂચક હોય છે.

( ૧૪ ) જો આ રેખા આગળ જઈને શુક્ર ( Venus ) પર્વત પર જઈ મળે તો પત્ની દિર્ઘાયુષી ના સંભવે.

( ૧૫ ) ચંદ્ર રેખા પરથી કોઈ રેખા ઊપસીને મંગળ રેખાને જઈને મળે તો તેનાથી પત્નીના ભાગ્યને હાની સંભવે છે.જો મંગળરેખામાં યવ હોય તો ભયંકર કઠિનાઈ કે અંતરાયનો સામનો કરવો પડે છે અને તનાવની સ્થિતિ પેદા  શકે છે.

( ૧૬ ) જો વિવાહરેખા આગળ વધીને મસ્તિષ્કરેખાને ( Head -Line ) કાપે અને ત્યાં જ થંભી જાય તો  ગ્રુહસ્થ જીવન ક્લેષમય થવાની અને અકારણ લડાઈ-ઝગડાની સંભાવના રહે છે.

( ૧૭ ) વિવાહરેખા નીચે તરફ ઝૂકેલી હોય તો પતિ-પત્ની રોગી સંભવે છે.

( ૧૮ ) વિવાહરેખા હ્રદયરેખાની સમાંતર ચાલે તો વિવાહ તરત જ થાય છે.

( ૧૯ ) જો કોઈ વિવાહરેખા શુક્ર પર્વત પર યવથી શરૂ થઈ હ્રદયરેખાને સ્પર્શતી હોય તો વૈવાહિક જીવન સુખમય હોતુ નથી.

( ૨૦ ) વિવાહરેખામાં એક શાખા નીચે તરફ હોય તો પતિ જૂઠું બોલનાર હોય છે.જો આ રેખા પત્નીના હાથમાં હોય તો તેને ગર્ભ રહેતો નથી.

( ૨૧ ) વિવાહરેખાના અંતમાં ફોર્ક  હોય તો બંને વચ્ચે પરસ્પર વૈચારીક મતભેદ હોય છે.

——————————- ઈશ્વરેચ્છા બલિયસી——————–

 

 

 

 

વેપાર-ધંધામાં સફળતાની ચાવી

                                                 

અત્યારે પૈસો જ મારો પરમેશ્વર ના સમય મા સમય, શક્તિ,મહેનત અને ઇનવેસ્ટ કરેલા નાણાંનુ યોગ્ય સંતોષકારક વળતર યા કમાણી થાય તે જરુરી છે. અને તે માટે સૌ પ્રથમ આપ તથા આપની જનમકુંડ્લી મુજબ વેપાર ધંધાની યોગ્ય પસંદગી એટ્લે કે ઈશ્વરે દરેક વ્યક્તિ ને બૌધિધ્ક શક્તિ, શારીરીક શક્તિ અને સાહ્સિક શક્તિ કુદરતી રીતે આપેલ હોય છે તેની સમજ જન્મકુંડલી દ્વારા સરલતાથી મેળવી શકાય છે અને તેની આપેલી શક્તીનો યોગ્ય દિશામા ઉપયોગ કરવાથી ભાગ્ય ખીલે છે અને વેપાર-ધંધામા ચોક્કસ સફળતા મલે છે અને આપણા પૈસા,સમય અને શક્તિનો બચાવ કરી શકાય છે.
  આજીવીકા માટે આપણા શાસ્ત્રમા દસમા સ્થાન -કર્મસ્થાન ને વિશેષ મહત્વ અપાયુ છે કારણકે કર્મસ્થાન જ માનવીનુ ભાગ્ય ઘડે  છ.
હવે સામાન્ય લોકોને ઊપયોગ માટે નીચે આપેલ કોઠાથી સ્થાન-રાશી તથા તેના સ્વામીને સમજીયે.

 સ્થાન નંબર                                  રાશી                                         રાશી-સ્વામી

૧                                                    મેષ                                                     મંગલ

૨                                                   વ્રુષભ                                                      શુક્ર

૩                                                  મિથુન                                                       બુધ

૪                                                   કર્ક                                                           ચંદ્ર

૫                                                   સિંહ                                                         સૂર્ય

૬                                                   કન્યા                                                        બુધ

૭                                                  તુલા                                                          શુક્ર

૮                                                વ્રુષિક                                                        મંગલ

૯                                                 ધન                                                            ગુરુ

૧૦                                              મકર                                                          શનિ

૧૧                                              કુંભ                                                             શનિ

૧૨                                              મીન                                                           ગુરુ      

  

આમ અહિં દર્શાવેલ કોઠા ને ચકાસતા આપની જન્મકુંડલીમા ક્યા સ્થાનમાં કઈ રાશી  છે અને તેનો સ્વામી ગ્રહ કોણ  છે અને ક્યા સ્થાનમાં બેઠો છે, તે પણ ખ્યાલ આવશે

  ( ૧ ) દશમા સ્થાને રહેલ રાશીનો સ્વામી જો બળવાન અને તે પાપગ્રહ્નની યુતી કે  દ્રુષ્ટિ વગરનો હોય તો તે મુજબ આજીવીકાનુ  ફીલ્ડ પસંદ કરશો.

  ( ૨ ) અત્રે હું આપને આપણી જન્મકુંડળી ના દશમા સ્થાને ક્યો ગ્રહ અને કઈ રાશી છે તે મુજબના સૂચક વ્યવસાયો નીચે મુજબ નમ્રતાપૂર્વ બતાવવાની કોશીશ કરુ છુ.

( ૨.૧ ) દસમા સ્થાને મેષ કે વ્રુષ્ચિક રાશી કે મંગળ હોય તો સુચક વ્યવસાયોઃ -

૧) તમાકુ કે તમાકુ ની બનાવટો ૨) ખનિજ કે રસાયણો નો વેપાર ૩) રંગ્ કે રંગની બનાવટ્  ૪) ફાર્મસી

( ૨.૨ ) દસમા સ્થાને વ્રુષભ-તુલા કે શુક્ર હોય તો….

૧) સોના-ચાંદી નો વ્યાપાર ૨) કોસ્મેટીક ૩) મનોરંજન ૪) હોટેલ કે રેસ્ટૉરંટ ૫) ફોટોગ્રાફી

( ૨.૩ ) દસમા સ્થાને મિથુન-કન્યા રાશી કે બુધ મુજબ….

૧) પ્રેસ તથા પ્રકાશન ૨) નાટક કે ફીલ્મ ૩) કમિશન એજન્ટ ૪) બેંકીગ ૫) પ્રવાસ

( ૨.૪ ) દસમા સ્થાને કર્ક રાશિ કે ચન્દ્ર મુજબ….

૧) પેટોલ પંપ ૨) સોફ્ટ્-ડ્રિક્સ ૩) બેકરી ૪) દુધ ની બનાવટ

( ૨.૫ ) દસમા સ્થાને સિંહ રાશિ કે સુર્ય મુજબ્ …….

૧) પોલિટિકસ ૨) ગ્રોસરી ૩) ઝ્વેરાત ૪) વકીલાત ૫) શેર બજાર

( ૨.૬ ) દસમા સ્થાને ધન રાશિ કે મીન કે ગુરુ ને લગતા ધંધા….

.
૧) શિક્ષણ ૨) ધામિર્ક ક્રિયા ૩) ધીરધાર ૪) જયોતીષિ ૫) સ્ટેશનરી

( ૨.૭ ) દસમા સ્થાને મકર કે કુંભ રાશિ કે શનિ મુજબ…..

૧) લોખંડ ની મશીનરી ૨) જમીન દલાલી ૩) ગેસ ૪) મીનરલ ૫) યંત્ર ૬) વીજળી
                                                                              
…………………………………………………………………………………………………

 

 

 

 

 

 

 

Older Posts »

Categories